રોમ: ઈટલીની રાજધાની રોમના 92 વર્ષીય રહેવાસીને નિવૃત્ત થઈને શાંતિથી બાકીની જિંદગી જીવવાને બદલે ભૂખ્યાનું પેટ ભરવાનું નક્કી કર્યું. ડિનો ઈમ્પૅગ્લીયાઝો છેલ્લા 15 વર્ષથી અઠવાડિયાંમાં ત્રણ દિવસ શહેરના 1000 ગરીબ અને બેઘર લોકોને જમાડે છે. તેમના આ કામથી લોકોમાં તે ગરીબોના શેફ તરીકે ફેમસ છે. આ ઉપરાંત તેમણે એક કિચન તૈયાર કર્યું છે, જ્યાં તેમની ટીમ સાથે તેઓ રોજ જમવાનું બનાવે છે. અહીં બનાવેલું ભોજન અઠવાડિયાંના ત્રણ દિવસ રેલવે સ્ટેશન પર અને એક દિવસ ફેમસ સેન્ટ પીટર્સ સ્કવેર પાસે બેઘરને વહેંચવામાં આવે છે.
આઈડિયા કેવી રીતે આવ્યો?
ડિનો સોશિયલ સિક્યોરિટી સિપાર્ટમેન્ટના નિવૃત્તિ છે. તેમની ટીમમાં હાલ આશરે 300 લોકો છે. તેઓ અઠવાડિયાંના 4 દિવસ ફૂડ માર્કેટ અને બેકરીમાંથી ફાળો એકઠો કરે છે અને જે ફંડ મળે છે તેમાંથી ભોજન બનાવીને લોકોને પ્રેમથી જમાડે છે. ડિનોએ પોતાના આ કામ વિશે જણાવ્યું કે, હું આ કામ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યો છું. 15 વર્ષ પહેલાં મને રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ મળ્યો હતો, જે ભૂખ્યો હતો અને મારી પાસે સેન્ડવિચ ખાવા માટે પૈસા માગી રહ્યો હતો. તેને જોઈને મને વિચાર આવ્યો કે, શહેરમાં આવા ઘણા લોકો છે જેમને રાતે ભૂખ્યા સૂવું પડે છે. આથી હું અને મારી ટીમ રોજ એવા પ્રયત્નો કરીએ છીએ કે, કોઈને ભૂખ્યું ન સૂવું પડે અને રોમ શહેરમાં લોકો વચ્ચે પ્રેમ અને એકતા બની રહે.
ઈટલીના રાષ્ટ્રપતિએ ડિનોને ‘હીરો’ ગણાવ્યા છે. આ બાબતે ડિનોએ કહ્યું કે, મારા કામની આટલી મોટી સફળતા મને મળશે તે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું.