દેશમાં કોરોનાને હરાવવા 21 દિવસનું લોકડાઉન છે. પરંતુ અનેક લોકો મામલાની ગંભીરતા હજૂ સમજી રહ્યાં નથી. ખાસ કરીને વાગડના અનેક ગામમાં લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં નથી. પોલીસ આવે ત્યારે માત્ર લોકો ઘરમાં ચાલ્યા જાય છે, ત્યારબાદ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યાં છે. જે જોખમી સાબિત થઇ શકે છે. રાપર તાલુકાના વાગડ વિસ્તારના અનેક ગામોમાં લોકડાઉનની ગંભીરતા લોકો સમજી રહ્યાં નથી. ગામોમાં લોકો બેરોકટોક ફરી રહ્યાં છે.
ગામોમાં તો અમુક દુકાનો પણ ખુલે છે
કઈ પણ થયું નથી એવી રીતે ગામના ચોક અને ઓટલા પર લોકો ગપ્પા મારી રહ્યાં છે. જે બેદરકારી ગામોમાં પણ બીમારીને આમંત્રણ આપી શકે છે. તાલુકાના ભીમાસર, પ્રાગપર, ઉમૈયા, કાનપર, હમીરપર, ભુટકીયા જેવા ગામોમાં લોકો બેધડક રીતે ફરી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે. આ ગામોમાં તો અમુક દુકાનો પણ ખુલે છે. આ મહામારીમાં પોલીસ અને આરોગ્ય વિભાગ તમામ કામગીરી કરી લેશે તેવું માની લેવું ભુલ ભરેલું છે. લોકોઅે પણ પોતાની જવાબદારી સમજવી પડશે. તેવી રીતે વાગડના આ ગામોમાં સોશિયલ ડિસ્ટેન્સ જરૂરી છે. આ ગામોમાં પોલીસની ગાડી આવે ત્યારે લોકો ઝડપથી ભાગી જાય છે. અને પોલીસના ગયા બાદ લોકો બહાર આવી રહ્યાં છે. આમ લગભગ દરેક ગામમાં લુકા-છૂપી જેવો તાલ સર્જાયો છે.