એક તરફ કોરોના વાયરસના સંક્રમણની લપેટમાં વિદેશમાં વન્યપ્રાણી પણ આવી ગયા છે. ત્યારે ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જમાં એક સાથે 5 થી વધુ વનરાણી સગર્ભા હોવાની અને ટૂંક સમયમાં તે સાવજોને જન્મ આપનાર હોવાનું વનવિભાગના સુત્રોનું કહેવું છે. વનવિભાગની ટીમ પણ આ તમામ સિંહણ પર સતત મોનેટરીંગ કરી રહી છે.
વનવિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જશાધાર રેન્જમાં 5થી વધુ વનરાણી ગર્ભવતી છે. અને ટુંક સમયમાં આ વનરાણીઓ સિંહબાળને જન્મ આપશે. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલતી હોઇ આ સિંહણો પર વનવિભાગનો સ્ટાફ સતત મોનીટરીંગ કરી રહ્યો છે. જે વિસ્તારમાં આ સિંહણોનું લોકેશન મળ્યું છે. એ લોકેશનમાંથી તે બહાર ન નિકળે તે માટે ટ્રેકરોથી લઇ અધિકારીઓ દ્વારા મોનીટરીંગ થઇ રહ્યું છે.
વન્યપ્રાણી સારવાર કેન્દ્રમાં રાખવામાં આવેલા વન્યજીવોને આપવામાં આવતો ખોરાક પણ હાથ મોજા અને માસ્ક પહેરીને સંપૂર્ણ ચોક્કસાઇ પુર્વક આપવામાં આવે છે.
એન. જે. પરમારના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ કામગીરી
ગીર અભ્યારણ્ય તથા ગીર બહારના રેવન્યુ વિસ્તારમાં વસતા વન્યજીવોની તમામ પ્રકારની હિલચાલ ઉપર સ્ટાફ દ્વારા સધન અવલોકન, મોનીટરીંગ કરી તંદુરસ્તીની ચકાસણી કરવામાં આવે છે. આરએફઓ જે. જી. પંડ્યા, વેટનરી ઓફીસર એચ. જી. વામજા સાથે જશાધાર રેન્જના સ્થાનિક સ્ટાફ, ટ્રેકર્સ, શ્રમયોગી, મજુરો તથા વન્યપ્રાણી મિત્ર સહીત 85 નો સ્ટાફ ખુબજ જહેમતથી વન્યજીવોની દેખભાળ કરી સતત મોનીટરીંગ કરે છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ ચિરાગ અમીન તથા ઊના ખાતેના મદદનીશ વન સંરક્ષક એન. જે. પરમારના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
જશાધાર એનિમલ કેર સેન્ટરને કરાય છે સેનિટાઇઝ
વનવિભાગનો સ્ટાફ પણ વન્ય પ્રાણીઓમાં કોરોના વાયરસના ખતરા સામે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં સારવાર સાચવણી માટે રાખવામાં આવતા વન્યજીવોને કોરોનાથી બચાવવા તમામ પાંજરા, કરાલ તેમજ સર-સાધનોને નિયમીત ફ્યુમિગેશન થકી જીવાણુમુક્ત કરવામાં આવે છે. અને જરૂરી દવા, કેમીકલ યુક્ત પ્રવાહી વડે સંપૂર્ણ વન્યપ્રાણી સારવાર કેન્દ્રને સેનિટાઇઝ કરવામાં આવેલ છે.
આખો સ્ટાફ સેનિટાઇઝ થયા બાદ જ ફરજ બજાવે છે
વન્યપ્રાણી સારવાર કેન્દ્ર, ગીર અભયારણ્ય અને રેવન્યુ વિસ્તારમાં વન્યજીવો સાથે પનારો પાડતા તમામ અધિકારી, કર્મચારી, ટ્રેકર્સ, શ્રમયોગી, મજૂરો અને વન્યપ્રાણી મિત્રો સહિત તમામ લોકો માસ્ક પહેરી સેનિટાઇઝ થઇનેજ ફરજ પર ચઢે છે.