કચ્છમાં શુક્રવારે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતા 24 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર, મુન્દ્રા તાલુકાના ધ્રબના 57 વર્ષીય આધેડ, અબડાસા તાલુકાના સાંઘીપુરમના 30 વર્ષીય યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા એમના સેમ્પલ લેવાયા હતા. એ ઉપરાંત લખપત તાલુકાના આશાલડી ગામની પ્રૌઢાના પણ સેમ્પલ લેવાયો હતો. જે તમામ ચારેય સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી જિલ્લા આરોગ્ય વિભાગની સાથે સમગ્ર કચ્છની જનતાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
કુલ77 સેમ્પલ લેવાયા છે, જેમાંથી 73ના નેગેટિવ
પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા સોની પરિવારના 62 વર્ષીય વૃદ્ધ, તેમના પત્ની અને પુત્રવધૂને એમ ત્રણેયને એકસાથે કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે, જેથી તેમની સાથે સંકળાયેલા અને સંપર્ક રહેલા સગા સંબંધી, મિત્રવર્ગ ઉપરાંત દૂધના વેપારી, કાછિયા, કરિયાણાના દુકાનદાર સહિત વધુ 13 વ્યક્તિના શુક્રવારે સેમ્પલ લેવાયા હતા. જે તમામનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. શનિવારે વધુ 23 વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. આમ, યક્ષ મંદિર અને ક્રિષ્નાપાર્ક સોસાયટીમાંથી વધુને વધુ લોકોને શોધીને એક પછી એક સૌના સેમ્પલ લેવાઈ રહ્યા છે. જોકે, એ બાબતે વધુ પ્રકાશ પાડવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે અસમર્થતા વ્યક્ત કરી નેક્સ્ટ ઓથોરિટી પાસેથી વિગતો મેળવી લેવા સૂચવ્યું હતું. બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે,ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં હજુ સુધી કુલ 34 દર્દી દાખલ કરાયા છે, જેમાંથી 30ને રજા અપાઈ છે. હવે ફક્ત 4 પોઝિટિવ દર્દી જ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ77 સેમ્પલ લેવાયા છે, જેમાંથી 73ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. સરકારી ક્વોરેન્ટાઇનમાં 45 વ્યક્તિ છે.
કોરોનાના દર્દી સંપર્કમાં આવેલી બે દુકાનને તાળા લાગ્યા
ભુજ શહેરના જોડિયા માધાપર ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના વાયરસ પોઝિટિવ છે, જેથી એમના સંપર્કમાં આવનારી એક પછી એક વ્યક્તિને હોમ કવોરોન્ટાઈન કરાઈ રહી છે, જેમાં શનિવારે પ્રજાપતિ દિલીપકુમાર વીરજી અને પ્રજાપતિ નીલકુમાર વીરજીના પ્રોવિઝન સ્ટોરને પણ તાળા મારી દેવાયા છે અને દુકાન માલિકને ઘરમાં આરામ કરોનો આદેશ આપવામાં આવ્યો છે.
માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં 62 વર્ષના વૃદ્ધ, તેમના પત્ની અને પુત્રવધૂને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ દર્દીઓના સંપર્કમાં કોણ કોણ આવ્યા હતા એની તપાસ ચાલી રહી છે, જેમાં શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગે ભુજ મામલતદાર અને રપાલિકાને સાથે રાખી કાર્યવાહી કરી હતી. મુખ્ય અધિકારી નીતિન બોડાતે જણાવ્યું હતું કે, માધાપરમાં 3 પોઝિટિવ કેસ બાદ ગામમાં આવજાવ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે, જેથી લોકોને આવશ્યક ચીજ વસ્તુની હોમ ડિલીવરી કરનારા બંને વેપારીઓને પણ પાસ પરમીટ અપાયા હતા. પરંતુ, તેમની દુકાનેથી કોરોના વાયરસના પોઝિટિવ મહિલા દર્દીએ ખરીદી કરી હતી. કોરોના વાયરસ ફેલાય નહીં એની તકેદારી રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.