કોરોનાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે, જેમાં 70 % એટલે કે 16 મૃતકોને કોરોના સિવાય પણ અન્ય બીમારી હતી. જેમાં સૌથી વધુ હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના રોગની સાથે કોરોના થયો હોય એવા 6 દર્દીના મોત થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 23 મોતમાં સૌથી વધુ 16 પુરુષના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેની સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે, ત્યારે રાજ્યમાં એક માત્ર કોરોનાના ચેપના કારણે 7ના મોત થયા છે, જ્યારે બાકીના 16 વ્યક્તિના મોત પાછળ કોરોનાની સાથે અન્ય બીમારીઓ પણ કારણભૂત રહી છે.
લોકલ ટ્રાન્સમિશનને કારણે ચેપ લાગવાથી 17ના મોત
કોરોનાના મૃતકોની મેડિકલ હિસ્ટ્રી જોવા માં આવે તો, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના 6 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત હાયપરટેન્શન વાળા 3, મગજની બીમારી ધરાવતા 2 અને કોર્મોબીડ એટલે કે અન્ય રોગો ધરાવતા 1, ફેફસાંના રોગ ધરાવતા 1 મળી કુલ 23 મૃતકોમાંથી 16 કોરનાની સાથે અન્ય બીમારીથી પણ પીડાતા હતા.ગુજરાતમાં કોરોનાને કારણે થયેલા કુલ 23ના મોતમાં લોકલ ટ્રાન્સમિશનના 17, આંતર રાજ્યના 3 અને વિદેશી 3નો સમાવેશ થયો છે. આમ ગુજરાતમાં સૌથી વધુ કેસ અને મોત લોકલ ટ્રાન્સમિશનના કારણે થયા છે.