વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉન વચ્ચે શું કરવું અે સવાલ લગભગ બધાને સતાવે છે ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં ટંડો મામદખાન ગામમાં રહેતા મૂળ કચ્છી યુવાને 15થી 20 જણાનું ગ્રુપ બનાવ્યું છે અને ગ્રુપના સભ્યોને પોતાના ખર્ચે પોતાના ટંડો મામદખાન ગામ અને આજુબાજુના ગામડામાં જ્યાં સરકારી સેવા પહોંચતી નથી ત્યાં ઘર, મોહલ્લા અને બજારો સેનિટાઇઝ કરી રહ્યા છે. બી.એ. સુધી ભણેલા, મૂળ કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ ગામના સોયબ કુંભારે ‘દિવ્યભાસ્કર’સાથે વાત કરતા જણાવ્યું કે સિંધમાં કોરોનાનો કહેર પસર્યો છે. હૈદરાબાદ જિલ્લાના તેના ગામ દંડો મામદખાનમાં 4 પોઝિટિવ કેસોનો આંક 18 પહોંચી ગયો છે. ત્યારે નવરા બેસી રહેવાને બદલે ત્યાં સરકારી સેવા નથી પહોંચી એવા અમારા ગ્રામ્ય વિસ્તારમાં અમે સ્વખર્ચે સેવા ચાલુ કરી છે.
દેશના ભાગલા ભલે પડ્યા સંબંધોના ભાગલા નથી પડ્યા
કચ્છનો સિંધ સાથેનો નાતો સદીઓ જુનો છે. 5000 વર્ષ પૂર્વે હડપ્પન સંસ્કૃતિ એ બન્ને પ્રદેશમાં હતી. દેશના ભાગલા પછી બન્ને બાજુ મોટી સંખ્યામાં સંબંધીઓ રહે છે અને અનેક પરિવારોમાં દિકરી વહેવાર પણ હોવાથી લગ્ન જેવા પ્રસંગોમાં પાસપોર્ટ-વિઝાથી આવન જાવન ચાલતી રહે છે. પાકમાં વસતા મૂળ કચ્છીઓ ત્યાં હજુયે કચ્છી તરીકે ઓળખાય છે.
સિંધમાં અઢીથી ત્રણ લાખ મૂળ કચ્છીઓની છે વસતી
કચ્છની પાડોશમાં આવેલા સિંધ પ્રાન્તમાં આશરે અઢીથી ત્રણ લાખ જેટલી મૂળ કચ્છીઓની વસતી છે. તેમાં કરાચી, હૈદરાબાદ, બદીન, મીઠી, થરપારકર, ઢીગડી, સખર, દંડો મામદ ખાન જેવા વિસ્તારો, હેરો, ગામોમાં વધુ છે. ભલે તેઓ હવે પાકિસ્તાની જ છે પરંતુ તેમની ભાગલા પૂર્વેની ‘કચ્છી’ની ઓળખ હજુ નથી ગુમાવી.