કોરોના વાઇરસના કારણે જમાલપુર એપીએમસી શાકમાર્કેટને જેતલપુર એપીએમસી ખાતે ખસેડવામાં આવી છે. પરંતુ ત્યાં પણ ભારે ભીડ જમા થતા સત્તાધીશોએ અચોક્કસ મુદત માટે શાક માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ વેજીટેબલ જનરલ કમિશન એજન્ટની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક શનિવાર અને રવિવારે ત્રણ વખત રાખવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા અંતે વેપારીઓએ જ્યાં સુધી બેઠક ન થાય ત્યાં સુધી એપીએમસી શાકમાર્કેટને બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે વેપારીઓએ જાતે જ સોમવારથી માર્કેટમાં નહીં જવાનું નક્કી કરી લીધું છે.
ભીડથી વેપારીઓમાં ચિંતા હતી
માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાલુપુર શાકમાર્કેટમાંથી એક વેપારી એપીએમસીમાં રોજ ખરીદી કરવા માટે આવતા હતા તેમને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હોવાની વાત માર્કેટમાં ચર્ચાતી હતી. માર્કેટમાં થતી ભીડથી વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. ત્યારે તેઓને ઘરેથી પરિવારના સભ્યો માર્કેટમાં આવા ન દેતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને શાકભાજીનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આ ભીડ બંધ કરી શકાય.
સોમવારે સાંજે બેઠક
આ અંગે એપીએમસી માર્કેટના સેક્રેટરી દિપક પટેલે જણાવ્યું હતું કે, સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વેપારીઓની બેઠક સોમવારે સાંજે રાખવામાં આવી છે. તેમાં જે નિર્ણય લેવામાં આવે તે પ્રમાણે આગળનું પ્લાનીંગ કરવામાં આવશે. હાલમાં એપીએમસી શાકમાર્કેટ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.