જીજ્ઞેશ કોટેચા, રાજકોટઃ દેશ-દુનિયામાં અત્યારે કોરોના વાઈરસનો હાહાકાર ફેલાયો છે ત્યારે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરાયું છે. લોકોના મોઢે તો ઠીક પરંતુ હવે દિલો-દિમાગમાં કોરોના વાઈરસ એ રીતે છવાઈ ગયો છે કે તેનો હવે રીતસર ડર લાગવા લાગ્યો છે. રાજકોટના જાણીતા મનોચિકિત્સક ડૉ. ભાવેશ કોટકે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે તેમની પાસે અવનવી ફરિયાદો સાથે દર્દીઓ આવે છે. કોઈને હરતા-ફરતા કોરોના દેખાય છે તો કોઈ દિવસમાં 30 વખત હાથ ધોઈને ઘરમાંથી સેનિટાઈઝરની બોટલ ખાલી કરી નાંખે છે. આ બધાના મૂળમાં અત્યારે કોરોનાનો ફેલાયેલો હાઉ છે અને તેના માટે વોટ્સએપ પર ફરતા અનધિકૃત અને ગેરમાહિતી ફેલાવતા મેસેજ જવાબદાર હોય છે. ડૉ. કોટકે આ સ્થિતિમાં અધિકૃત અને વિશ્વાસપાત્ર માધ્યમો પાસેથી જ મળતી માહિતી પર વિશ્વાસ કરીને અપડેટ રહેવા પર હાકલ કરી છે.
મનોચિકિત્સક ડૉ. કોટક કહે છે, ‘ફેમિલી સાથે સારો સમય વિતાવો, ડરો નહીં’
‘‘અત્યારે મારા-તમારા-આખા દેશમાં કોરોના જ કોરોના ચાલે છે. સહુનો પ્રશ્ન હોય છે કે કોરોનાનો ડર ઓછો કરી સ્વસ્થતાથી કેમ જીવવું? એક પેશન્ટનો મને ફોન આવ્યો ને કહ્યું, ‘‘મને નરી આંખે કોરોના દેખાય છે. હાથ-પગ અરે વાસણો પર પણ કોરોના દેખાય છે.’’ બીજા પેશન્ટે તો ત્યાં સુધી કહ્યું કે, ‘‘હું આખો દિવસ સેનિટાઈઝરથી હાથ સાફ કર્યા કરું છું. દિવસમાં 30 વાર હાથ ધોઉં છું.. આખી બોટલ ખાલી કરી દઉં છું છતાં મને હાથ બરાબર સાફ ન થયાનું લાગે છે. આખી જિંદગીમાં ન પીધેલો આલ્કોહોલ અત્યારે હાથ પી જાય છે. ઘરના પણ ત્રાસી ગયા છે કે અત્યારે સેનિટાઈઝરની બોટલ મળતી નથી ને આ રોજ એક બોટલ ખાલી કરે છે.’’ તો મિત્રો અત્યારે સાવધ રહેવું જરૂરી છે, પણ કોરોનાથી નાહકનું ડરવું ન જોઈએ. આ ડર ફેલાવાનું કારણ વોટ્સએપ નામની યુનિવર્સિટી છે જ્યાં આપણે બધા રોજ ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ થઈએ છીએ. આપણે વોટ્સએપ પર આવતી માહિતીની ખરાઈ ચકાસતા જ નથી. ઊલટાનું પ્રિન્ટ મીડિયા, સ્ટાન્ડર્ડ ન્યૂઝ ચેનલ અને માધ્યમોને જ સાચા માનવા જોઈએ. આપણી એંક્ઝાઈટી-સ્ટ્રેસ અટકાવવા અત્યારે ફેમિલી સાથે વધુમાં વધુ ક્વોલિટી સમય વિતાવીએ. આ તક મળી છે તો તેમની સાથે ઈન્ડોર ગેમ્સ રમીએ, કસરત કરીએ.. જેન્યુઈન પ્રોબ્લેમ હોય તો ઓથેન્ટિક વ્યક્તિ કે ફેમિલી ડોક્ટર પાસેથી માહિતી મેળવવી જોઈએ. સ્ટ્રેસને દૂર કરીએ..’’
‘પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો, અમે ક્વોરેન્ટાઈનમાં છીએ, પણ ડરતા નથી’
એચ આર ઝાલા નામના એક યુઝરે પણ વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ‘‘મારા પુત્ર મયુરસિંહને પોઝિટિવ ટેસ્ટ આવતા અમે બધા ત્રિમંદિર ખાતે ક્વોરેન્ટાઈનમાં છીએ. પણ આમાં કશું ગભરાવા જેવું નથી. અમારી પૂરતી કાળજી રખાય છે. તમે પણ કોરોનાના સંપર્કમાં આવ્યા હોવ તો બીજાને ચેપ ન લાગે તે માટે તમારી જાતને ક્વોરેન્ટાઈનમાં રાખો. ક્વોરેન્ટાઈનમાં જવું એ તો દેશના સાચા સૈનિક બનીને દેશવાસીને સુરક્ષિત રાખવાની અને દેશની સેવા કરવાની સ્થિતિ છે.’’