ચેતન પૂરોહિત, અમદાવાદઃ વિશ્વ આખું આજે કોરોનાને કારણે પોતાના લોકડોઉન થવા મજબૂર બન્યું છે. આવા સમયમાં સૌથી ખરાબ સ્થિતિ બેઘર ગરીબો અને રોડ પર જ રહેતા ગાંડા-ઘેલા લોકોની થઈ છે. જો કે, આવા લોકોને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા અમદાવાદના મહિલા તબીબ રજની દેસાઈ અને તેમના બિઝનેસમેન પતિ અમિતભાઈ જેવા લોકો પણ છે. રોજ સાંજે આ દંપતિ પોતે જે જમે તે જ વધારે જથ્થામાં બનાવીને આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબને જમાડે છે. તેઓ પોતાના ભાણામાં બચેલું નહીં પણ ગરીબોને જે ઈચ્છા હોય તેવું ભાવતું ભોજન આપવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે કે, ગરીબ છે તો શું થઈ ગયું, રોજ ખિચડી કોને ભાવે.
પરોપકારી યુગલની સેવાભાવી વાત તેમના મુખે..
‘‘હું ડૉ. રજની દેસાઈ અને મારા પતિનું નામ અમિત દેસાઈ છે. અમે તો ઘરમાં બધું લઈ શકીએ પણ અત્યારના આ સમયમાં આ લોકોને કોણ ખાવા-પીવાનું આપશે. અમે થઈ શકે તેટલી હેલ્પ કરીએ છીએ. છેલ્લા 6 દિવસથી મદદ કરું છું અને જ્યાં સુધી ભગવાન અમને આપશે, અમે તેમને હેલ્પ કરીશું. આ ટાઈમ છે જ્યારે હેલ્પ કરી શકાય… થોડું-થોડું કરીને સવાર-સાંજ હેલ્પ પહોંચાડીએ છીએ. બધાને-રોજ પોતાના ઘરમાં ગરમ જમવાનું બનાવીને ગરીબોને આપવા જઈએ છે. ગરીબોને કશું ખાવા-પીવાનું મળતું નથી. આ લોકો રોડ પર ભૂખ્યા જ સૂઈ જાય છે-અમે શક્ય બને તેટલું ઘરે ખાવાનું બનાવીને આપીએ છીએ.’’