રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ નોંધાતા કલસ્ટર ક્વોરન્ટીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં બેરીકેટ લગાડી સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની મદદે પોલીસ આવી છે. આ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ 3 હાજર લોકોમાં ફૂડપેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજકોટના ડેપ્યુટી કલેક્ટરે વિવાદીત પોસ્ટ ટ્વીટર પર મુકી
રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચાણસિંહ ગોહિલ દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટમાં વિવાદીત પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખંભા પર હાથ રાખી શ્રીરામનો ફોટો મુક્યો છે. જેમાં ભગવાન રામ નરેન્દ્ર મોદીને સલાહ આપતા હોય તેવી તસવીર જોવા મળે છે. અને લખ્યું છે કે, પહુચ ગઇ ગીનતી હજારો મેં ઇસે લાખ મત હોને દો, રૂક જાઓ અપને ઘરો મેં વતન કો રાખ મત હોને દો. સ્ટે હોમ બી સેફ ફાઇટ અગેઇન કોરોના
14 એપ્રિલથી યાર્ડ શરૂ થાય તેવી શક્યતા
લોકડાઉનમાં સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ છે. પરંતુ ખેડૂતો પોતાનો તૈયાર થયેલા પાક વહેંચી શકે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશઓની આવતીકાલે બેઠક મળનાર છે. ગામ દીઠ 25 ખેડૂતોને ટોકન આપવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. 14 એપ્રિલથી યાર્ડ શરૂ થાય તેવી શક્યતા છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ડિસઇન્ફેક્ટની કામગીરી, ગોંડલ કોર્ટ સંકુલમાં દવાનો છંટકાવ કર્યો
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી ડિસઇન્ફેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં શેરી-ગલીઓમાં ગ્રામ્ય પંચાયત
દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે
દેશમાં વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના આદેશથી ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ ગોંડલ કોર્ટ સંકુલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કોર્ટ
બિલ્ડિંગ, વોરાકોટડા રોડ પર આવેલ સબજેલ તેમજ આવાસ ક્વાર્ટરમાં સેનિટેશન કરવામાં આવ્યું હતું.
જંગલેશ્વરમાં લોકડાઉનનો ભંગ કરનાર બે શખ્સોની ધરપકડ
પોઝિટિવ કેસની સંખ્યા વધતા સમગ્ર જંગલેશ્વર વિસ્તારને સીલ કરી દીધો છે. તેમ છતાં લોકડાઉનનો ભંગ કરી બહાર ફરતા બં શખ્સોને પોલીસ ધરપકડ કરી છે. સલીમ ગફાર લદધ અને રફીક મહમદ જામ મીયાણાની પોલીસે ધરપકડ કરી લોકડાઉન ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં આજે 74 નેગેટિવ, 27નો રિપોર્ટ બાકી
રાજકોટમાં કોરોના શંકાસ્પદ 101 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 81 રાજકોટ શહેરના, 14 ગ્રામ્યના અને 6 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. 101માં 53 પુરૂષ અને 48 મહિલાનો સમાવેશ થાય છે. 101 પૈકી 74 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 27ના રિપોર્ટ આવવાના બાકી છે. ભાવનગરમાં 11 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટ જિલ્લામાં 5.82 લાખ APL-1 કાર્ડ ધારકોને નિઃશુલ્ક રાશન મળશે
રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની મહામારી અંતર્ગત લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને સધિયારો આપવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે બીપીલ કાર્ડ ધારકો ઉપરાંત નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-1 કાર્ડ ધારકોને 13 એપ્રિલથી જુદા જુદા તબક્કામાં પાંચ દિવસ દરમિયાન રાશન સામગ્રી નિઃશુલ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 754 સસ્તા અનાજની દુકાન પરથી 5.82 લાખ રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક રાશન મળશે. આશરે 21 લાખથી વધુ લોકોને સધિયારો મળશે.
રાજકોટ શહેરમાં 4 ઝોનવાઈઝ કુલ 3,18,990 રેશનકાર્ડ ધારકોને રાશન વિતરણ કરાશે
એ.પી.એલ.-1 રેશનકાર્ડ ધારકોને કાર્ડ નંબરમાં છેલ્લા આંકડાનો નંબર 1 અને 2 હોય તેમણે તારીખ 13 એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર 3 અને 4 હોય તેમણે તારીખ 14 એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર 5 અને 6 હોય તેમને તારીખ 15 એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર 7 અને 8 હોય તેમને 16 એપ્રિલ તેમજ છેલ્લા આંકડાનો નંબર 9 અને 0 હોય તેવા રેશનકાર્ડ ધારકોને 17 એપ્રિલના રોજ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.