- 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી
- INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું
- સમગ્ર દેશની નજર જેના પર સ્થિર થઇ છે તે ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટની આજે મુંબઈથી અંતિમ સફર શરૂ થઈ ગઈ છે અને મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી નીકળીને ભાવનગર અલંગ શિપ બ્રેકીંગ તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો જહાજ આગામી 3-4 દિવસમાં ભાવનગરના અલંગ ખાતે આવી પહોંચશે. જ્યાં આ જહાજને સત્તાવાર વિદાય આપવામાં આવશે. INS વિરાટને 4 ટગથી ખેંચીને લાવવામાં આવી રહ્યું છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) ખાતે જહાજને ખેંચવા માટેની વિંચ, ચેઇન, કપ્પા સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. શિપને મુંબઇથી અલંગ એન્કરેજ સુધી પહોંચવા માટે 5 દિવસ લાગશે. કસ્ટમ્સ, GMB, GPCB સહિતની સરકારી કામગીરીઓ ત્વરીત કરી શકાય તેના માટે સંકલન સાધવામાં આવ્યું છે. મહત્વનું છે કે અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 દ્વારા ઓનલાઇન ઓક્શનમાં 38.45 કરોડ રૂપિયાની કિંમતે INS વિરાટ ખરીદી લીધું છે.
ભારતીય નૌસેનાનું જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે.
વર્ષ 1987થી 2016 સુધી સતત દેશની રક્ષામાં કાર્યરક હતું
18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી. નેવી યુદ્ધ જહાજ તરીકે સૌથી વધુ 56 વર્ષ સેવા આપનાર INS વિરાટ ભારતમાં 30 વર્ષ સુધી સેવામાં રહીને કારગીલ જેવા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અલંગ શિપ યાર્ડના ઈતિહાસમાં સૌથી મોટું INS વિરાટ યુદ્ધ જહાજ બ્રેકીંગ માટે આવશે.
INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગશે
INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, UKનું નેવી જહાજનું અગાઉ બ્રેકીંગ કરેલ, તે ઉપરાંત અન્ય વિદેશી જહાજોને ભાંગવાનો બહુળો અનુભવ છે. INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે.
ભારત પછી ચીનની તાઈવાનમાં ઘુસણખોરી:ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી