તારીખ 14થી 17 એપ્રિલ દરમિયાન સતત ચાર દિવસ સુધી અવકાશમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. લોકો ત્રણ ગ્રહોની ચંદ્ર સાથેની અવકાશીપરેડ નિહાળી શકશે. વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ દક્ષિણ પૂર્વ દિશામાં ચંદ્ર અને ત્રણ ગ્રહો ગુરુ, શનિ અને મંગળ ચલકચલાણું રમતા નરી આંખે દેખાશે.રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને અવકાશ વિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા નિલેશ રાણા જણાવે છે કે, તારીખ 14ના રોજ ગ્રહોની સ્થિતિ પશ્ચિમથીઅનુક્રમે ચંદ્ર, ગુરુ, શનિ અને મંગળ તેમજ તા 17 ના રોજ પશ્ચિમથી અનુક્રમે ગુરુ, શનિ, મંગળ અને ચંદ્ર એમ હશે.
ચંદ્ર દરરોજ 52 મિનિટ મોડો ઉગે છે
તા.14ના દિવસે કૃષ્ણપક્ષની સાતમનો ચંદ્ર આશરે 60% જેટલો પ્રકાશિત હશે. જ્યારે તા. 17ના રોજ દશમનો ચંદ્ર માત્ર 30% પ્રકાશિત હશે. હાલના સમયમાં ગુરુધન રાશિમાં તેમજ શનિ અને મંગળ કુંભ રાશિમાં છે ત્યારે ચંદ્ર આ ચાર દિવસોમાં આ બંને રાશિઓમાંથી પસાર થઈ જશે કેમકે ચંદ્ર 2.25 એટલે કે સવા બે દિવસમાં એક રાશિ પાર કરી લે છે. આ સાથો સાથ ચંદ્ર દરરોજ 13 અંશ જેટલો પાછળ (પૂર્વ તરફ) ખસતો જાય છે જેના કારણે તે દરરોજ આશરે 52 મિનિટ મોડો ઉગે છે.
ચંદ્ર 15મીએ ગુરુની, 16મીએ મંગળની એક્દમ નજીક દેખાશે
તારીખ 15ના રોજ ચંદ્ર ગુરુ ગ્રહની અને 16મીએ મંગળની એકદમ નજીક જોવા મળશે. નરી આંખે જોતા ત્રણે ગ્રહોમાં ગુરુ સૌથી તેજસ્વી લાગતો હોવાને કારણે તરત જ નોખો તરી આવશે. જો સારી ગુણવત્તાના દૂરબીન અથવા સામાન્ય એવા ટેલિસ્કોપથી ગુરુને જોવામાં આવે તો પીળા રંગનું નાનું બિંબ દેખાશે જેના પર બે બદામી રંગના પટ્ટાઓ જોવા મળશે.
પૃથ્વીથી ગુરુનું અંતર 76 કરોડ, શનિનું 151 કરોડ કિ.મી.
શનિને ટેલિસ્કોપ વડે જોવો એક લહાવો છે જેમાં વલયોની રિંગ વચ્ચે તરતા ગોળા જેવો ગ્રહ સુંદર દેખાય છે. નરી આંખે જોતા ગુરુ તેજસ્વી હોવાને કારણે અને મંગળ તેના લાલ રંગને કારણે તરત ઓળખાય જશે. આ બે વચ્ચે પીળા રંગનો તારો એ શનિ ગ્રહ છે. ગુરુ અને શનિની તેજસ્વીતામાં આટલો તફાવત હોવાનું કારણ છે તેમનું પૃથ્વીથી અંતર હાલમાં પૃથ્વીથી ગુરુનું અંતર 76 કરોડ km જેટલું છે જ્યારે પૃથ્વીથી શનિનું અંતર હાલ તેનાથી ડબલ એટલે કે 151 કરોડ કિ.મી જેટલું છે આ કારણે જ આપણાથી માત્ર 24 કરોડ કિ.મી દૂર આવેલ મંગળ પણ શનિ કરતા વધુ તેજસ્વી લાગે છે.