અમદાવાદ: કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની જાહેરાત બાદ વેપાર ધંધા બંધ થઈ જતા ગરીબ અને શ્રમિક વર્ગ પોતાના વતન તરફ પગપાળા જવા નીકળ્યો હતો. મોડી રાત્રે પણ 2500 જેટલા લોકોના ટોળા ઔડાના મકાનમાં ભેગા થયા છે અને અસુવિધાના કારણે હોબાળો મચાવી રહ્યા છે. સ્થિતિની સમિક્ષા કરવા મ્યુનિસિપલ કમિશ્નર બોડકદેવ પહોંચ્યા હતાં.
રાજ્ય સરકારે આજે એકપણ શ્રમિક વતન નહીં જય શકે અને તેની રહેવા- જમવાની વ્યવસ્થા સરકાર કરશે તેવી જાહેરાત કરી હતી. સરકારી તંત્રે તાત્કાલિક ધોરણે અમદાવાદમાં આવા શ્રમિકોને બપોરે વાહનોમાં ભરી ભરી બોડકદેવમાં નવા બનેલા ઔડાના મકાનમાં લાવવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં શ્રમિકોને ભેગા કરવામા આવ્યા છે.
લોકોને મચ્છરો અને ગંદકીમાં રાખ્યા
ઔડાના મકાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને મકાનોની બહાર જવા દેવામાં આવતા નથી. પાંચ કલાકથી કોઈ સુવિધા ન મળતા લોકો હોબાળો મચાવી રહ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા નથી. લોકોને મચ્છરો અને ગંદકીમાં રાખ્યા છે. AMC અને પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી સમજાવટ કરી રહ્યા છે. કોઈ સુવિધા ન હોવાથી બધા લોકો પોતાના ઘરે કે જ્યાં રહેતા હતા ત્યાં જવા માંગ કરી રહ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સને અવગણી બધાને એક જગ્યાએ રખાયા
કોરોના વાઇરસ ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં લોકોને ભેગા ન કરવા કે રહેવા સૂચના છે છતાં અત્યારે આવા હજારો શ્રમિકોને એક જ જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. રિંગરોડ અને એસજી હાઈવે પર પગપાળા વતન તરફ જતા આવા શ્રમિકોને નવા બનેલા મકાનોમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક રૂમમાં 15થી 20 લોકોને રાખવામાં આવી રહ્યા છે જેથી કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા જણાઈ રહી છે. આ ઔડાના મકાનોમાં હજી લાઈટ અને ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી. લાઈટ અને પાણી વગર આ શ્રમિકોને રહેવાની ઉતાવળે તંત્રએ વ્યવસ્થા કરી તેઓને ચેપ લાગે તેવી સ્થિતિમાં મુક્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ તમામ લોકોને રૂમમાં રાખી દેવામાં આવ્યા છે અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.