Home Gujarati વડોદરામાં 47 લોકોના રિપોર્ટ નેગેટિવ, આવતીકાલથી તમામ મોટા શાકમાર્કેટ બંધ, ફેરિયાઓ સોસાયટીઓમાં...

વડોદરામાં 47 લોકોના રિપોર્ટ નેગેટિવ, આવતીકાલથી તમામ મોટા શાકમાર્કેટ બંધ, ફેરિયાઓ સોસાયટીઓમાં જઇને શાકભાજી વેચી શકશે

95
0

વડોદરાઃ વડોદરા શહેરના તમામ મોટા ખંડેરાવ માર્કેટ, ચોખંડી નાની શાક માર્કેટ, બાપોદ, આજવા રોડ, પાણીગેટ, કડક બજાર સયાજી ગંજ, ગોરવા સહિત શહેરના માર્કેટ શુક્રવારથી સંપૂર્ણ બંધ રહેશે. ખંડેરાવ માર્કેટ શિફ્ટ કરી પોલો મેદાનમાં સવારથી શરૂ કરાયુ હતું. પરંતુ લોકોની ભીડ વધીજતા તમામ માર્કેટ બંધ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેરિયાઓને 10 દિવસનો શાકભાજીનો સ્ટોક આપી દેવામાં આવ્યો છે. તેઓ સોસાયટીમાં, પોળોમાં જઇને શાકભાજી વેચી શકશે.

કાલોલમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે હોમકોરોન્ટાઈન રહેલા વ્યક્તિએ માથાકૂટ કરતા ફરિયાદ
કાલોલ: કાલોલમાં કોરોના વાયરસના કારણને બહારથી આવતા વ્યક્તિના શરીર સ્વાસ્થ્યની પુષ્ટિ કરી તેની નોંધ લઇ તે ઘરને 14 દિવસ સુધી હોમકોરોન્ટાઈનની કામગીરી કરવા પહોંચેલ બહેનો સાથે તકરાર કરનાર સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રકોપના હાડમારીઓથી બચવા માટે સજ્જ બની રાજ્યના આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા સર્વે કરી 14 દિવસ સુધી માગૅદશૅન આપી હોમકોરોન્ટાઈનની કામગીરી હાથ ધરી છે. જેના પગલે કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા શેખ રઝીમ મહંમદ સલીમના ઉ.26 જ્યાર્જિયાથી ભારત વતનના ઘરે પરત ફર્યા હતા. જેની માહીતી અનુસાર કાલોલ તાલુકાના હેલ્થ વિભાગની મહિલાઓ કોરોના વાઈરસના સરકારના આદેશનુ પાલન કરતા કામગીરી હાથ ધરી હતી. જ્યારે કાલોલ તાલુકા ખાતે હેલ્થ ઓફિસ દ્વારા કામગીરી આ.બી.એસ.કે ની ટીમને સોંપવામા આવી હતી. જેના કારણે કાલોલની મેડિકલ ટીમના ડૉ. ઉન્નતિબહેન તેમની ટીમ સાથે કોરોના વાઈરસના સરકારના આદેશનુ પાલન કરતા આશિયાના સોસાયટીમાં પહોંચી શેખ રઝીમ મહંમદ સલીમના ઘર બહાર સ્ટીકર લગાવેલ હોવાથી તેમને ઘરમાં રહેવા તેમજ મોં પર માસ રાખવા અને તેમના ઘરને યોગ્ય માર્ગદર્શન આપી યોગ્ય માહિતી અનુસાર વિગતની પુષ્ટિ કરતાં શેખ રઝીમ મહંમદ સલીમનાઓ ઉગ્ર બોલાચાલી કરી તકરારને ધ્યાનમાં લઈને કાલોલ આરોગ્ય વિભાગ હેલ્થ ઓફિસર ડૉ. મીનેશ વિનોદચંદ્ર દોશીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફ્લાઇટ બંધ હોવાથી નવા ક્વોરેન્ટાઈનની સંભાવના ઓછી
વડોદરા શહેર જિલ્લામાંથી શંકાસ્પદ કોરોનાની ચકાસણી માટે 57 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામના રીઝલ્ટ મળી ગયા છે.આ સેમ્પલ પૈકી 47 નેગેટિવ જણાયા છે અને 8 પોઝિટિવ રિપોર્ટવાળા દર્દીઓને નિયમ પ્રમાણે સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા કલેક્ટરના દિશા નિર્દેશો અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના થી લોકોના બચાવ માટે સતત કાર્યરત છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, હવે એરપોર્ટ પર ફ્લાઇટ બંધ હોવાથી વિદેશથી આવતા નવા પ્રવાસીઓની યાદી મળવાની સંભાવના ઘટી છે અને એટલા પ્રમાણમાં નવા ક્વોરેન્ટાઈનની સંભાવના ઓછી થઈ છે. હાલમાં આજવા રોડ પર શરૂ કરવામાં આવેલી સ્વતંત્ર સુવિધા ખાતે 54 લોકોને સંપર્ક મુક્ત રાખવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં મોલ દ્વારા ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી થશે
આજે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લોકોને ફોન પર લખાવેલા ઓર્ડર પ્રમાણે ઘેર બેઠા જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે અને બહાર નીકળવાની આવશ્યકતા શક્ય તેટલી ઘટે તે માટે હોમ ડિલિવરીની સુચારુ વ્યવસ્થા ગોઠવવા મેગા મોલ્સ અને મેગા સ્ટોર્સના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેને હકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં હોમ ડિલિવરીની યોગ્ય વ્યવસ્થા શરૂ થઈ જાય એવા સંકેત મળ્યા છે.આ બેઠકમાં આવા વિક્રેતાઓ ના કર્મચારીઓ અને વાહનોનું પરિવહન સરળ બને એ માટે ઉચિત પાસ આપવા સહિતની બાબતોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
508 લોકો હાલમાં આ 14 દિવસની સંપર્ક મુક્તિ હેઠળ
ઉપરોક્ત સ્વતંત્ર સુવિધા અને ઘરોમાં મળીને કુલ 571 જેટલા લોકોને સંપર્ક મુક્ત રાખવામાં આવ્યા હતા. આ પૈકી 63 લોકોએ સંપર્ક મુક્તિનો નિર્ધારિત 14 દિવસનો સમયગાળો પૂરો કર્યો છે જ્યારે 508 લોકો હાલમાં આ 14 દિવસની સંપર્ક મુક્તિ હેઠળ છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રોના તબીબોને રોજે રોજ રાજ્ય સ્તરેથી મળતી સાવચેતી અને અટકાયતી વિવિધ સૂચનાઓ થી વાકેફ રાખીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તેના માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી એમની સાથે એમને આરોગ્ય કેન્દ્રોમાં રાખીને સંવાદ થઈ શકે છે અને ઓપીડી પણ સચવાય છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કુલ 8 કેસ છે અને 2 રિપોર્ટ રીજેકટ થાય હતા.
2639 મેટ્રીક ટન ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશથી લવાયો

રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનાજના પુરવઠા પહોંચી વળવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેને પગલે આજે 50 ગાડીઓમાં 2639 મેટ્રીક ટન ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યો છે. જેને ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વેર હાઉસમાં મોકલી આપવામાંઆવ્યો છે. ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશના હરડાથી લાવવામાં આવ્યો છે.

લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની કંપનીએ ફૂટ માર્ચ કરી

વડોદરા શહેરમાં શાકભાજી માર્કેટોમાં ભીડ થતાં પોલીસે કડક બજાર અને ચોખંડી શાકમાર્કેટ બંધ કરાવ્યું હતું. આ ઉપરાંતલોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની કંપનીએ ફૂટ માર્ચ કરી હતી.

36 ટકા ઘરોમાં સર્વેક્ષણ કરાયું

કોરોના વાઈરસના હાહાહારને પગલે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 752 ટીમો દ્વારા ઘર મુલાકાત કરીને સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 36 ટકાથી વધુ ઘરોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણ એટલે કે ઘર મુલાકાત અને આરોગ્યલક્ષી તપાસ શરૂ કરવામાં આવી છે.વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ હાલમાં આરોગ્ય કર્મચારીઓની 752 જેટલી ટુકડીઓ આ કામ કરી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવટે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાની કુલ 14.56 લાખની વસ્તી પૈકી 5.27 લાખથી વધુ વસ્તીનું સ્ક્રિનિંગ અને 1.4 લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ કર્યો છે. આ દરમિયાન તાવ પીડિત 286 અને કફની મુશ્કેલી વાળા 625 લોકો મળી આવતા યોગ્ય સારવાર કરવામાં આવી છે. સર્વે દરમિયાન શ્વાસની તકલીફવાળા દર્દી જોવા મળ્યા નથી.36.22 ટકા કુટુંબોનું સર્વેક્ષણ પૂર્ણ થયું છે.

વડોદરાકોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ

વડોદરાશહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે લોકડાઉનમાં ખંડેરાવ માર્કેટમાં ભીડ થતી હોવાથી ત્યાંથી હોલસેલશાકભાજી માર્કેટને ખસેડીને પોલો ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યું છે. જેથી લોકો હવે હવે ગ્રાઉન્ડમાંએકબીજાથીદૂરી રાખીને ખરીદી કરી શકે છે.
ભીડ ન થાય તે માટે શાકભાજી માર્કેટ ખસેડાયુ
વડોદરા શહેરમાં વર્ષોથી ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજાર ભરાય છે. હાલ કોરોના વાઈરસના લોકડાઉનને કારણે સાંકળી જગ્યામાં ભીડ થતી હતી. હતી. જેથી વડોદરા મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આજે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજારને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. પાલિકા અને પોલીસની ટીમ દ્વારા માર્કેટને આજે પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં માર્કિંગ કરીને વેપારીઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. તમામ ગ્રાહકો છૂટા-છવાયા રહે અને ભીડ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં અત્યાર સુધી 40 સેમ્પલ નેગેટિવ આવ્યા

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં વડોદરામાં શંકાસ્પદ કોરોનાની ચકાસણી માટે કુલ 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી 8 સેમ્પલ પોઝિટિવ જણાયા છે અને 40 સેમ્પલ નેગેટિવ રહ્યા છે. એક સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે. અને 2 સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા છે. બુધવારે રાત્રે 55 વર્ષના પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે ગોત્રી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ 31 માર્ચ સુધી બંધ
વડોદરા શહેર જિલ્લામાં 31 માર્ચ સુધી આવશ્યક સેવાઓ સાથે સંકળયેલી સરકારી કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ સંપૂર્ણ બંધ રાખવા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે. કચેરીઓના વડા તથા કર્મચારીઓને તેમના મોબાઇલ ફોન, ઇ-મેઇલથી સંપર્કમાં રહી સોંપવામાં આવે તે કામગીરી ફરજ બજાવવાની રહેશે. આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે સંકળાયેલી તમામ કચેરીઓ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરી, પ્રાંત મામલતદાર કચેરી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, પોલીસ, મહાનગરપાલિકા, પંચાયત, નગરપાલિકા કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જીઆઇડીસી, ઔદ્યોગિક સલામતી, જીપીસીબીની પ્રાદેશિક કચેરી, જિલ્લા અને તાલુકા પંચાયત, રાજ્ય તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ગેસ વિજળી અને પાણી પુરવઠા સાથે સંકળાયેલ તમામ કચેરીઓ ચાલુ રહેશે અને આવશ્યક તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ આ અંગે સતત ફરજ બજાવશે.

સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી સ્થગિત
વડોદરા શહેરમાં લોકડાઉનને પગલે સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. કોરોના વાઈરસ કંટ્રોલમાં આવ્યા બાદ ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શાક માર્કેટ બંધ કરાવવા પહોંચેલા પોલીસકર્મીઓ


ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાનું વેર હાઉસ


શાક માર્કેટ બંધ કરાવવા પહોંચેલા પોલીસકર્મીઓ


પોલો ગ્રાઉન્ડ ખાતે શાકભાજી ખરીદવા માટે લોકો ઉમટ્યા