કોરોના વાઈરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં પશુ-પક્ષીઓની હાલત દયનીય બની ગઇ છે, ત્યારે વડોદરામાં વર્ષોથી મુંગા પશુ-પક્ષીઓ માટે કામ કરતી અગ્ની વિર અને પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા 22 માર્ચથી આજદિન સુધીમાં 1200 જેટલા સ્ટ્રીટ ડોગ અને રસ્તે રખડતી 600 જેટલી ગાયોને બે ટાઇમ આહાર પુરો પાડી રહી છે. એતો ઠીક આ સંસ્થા દ્વારા ગાયોના ઘાસચારા માટે રૂપિયા 30 હજારમાં ઘાસચારા સાથેનું ખેતર ભાડે રાખ્યું છે.
મુંગા પશુઓને બે ટાઇમ ખોરાક પહોંચાડે છે
કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના પગલે લોકો ઘરની બહાર નીકળી શકતા ન હોવાથી રસ્તે રઝળતા કુતરા તેમજ ગાયોને ખોરાક મળતો નથી. આ ઉપરાંત ઘરમાં બકરાઓ રાખનારા લોકો પણ પોતાના બકરાંને પણ પુરતો ખોરાક આપી શકતા નથી. ત્યારે વડોદરાની અગ્નિ વિર અને પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા મુંગા પશુઓને બે ટાઇમ ખોરાક પહોંચાડી રહી છે.
પ્રાણીઓ માટે રૂપિયા 30 હજારમાં ઘાસચારો ઉગાડેલ ખેતર રાખ્યું
અગ્નિ વિર અને પ્રાણીન ફાઉન્ડેશનના સંચાલિકા નેહા પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન અમારી સંસ્થાના 25 જેટલા સભ્યો વહેલી સવારથી મોડી સાંજ સુધી રસ્તે રઝળતા કુતરાઓ અને ગાયોને ખોરાક પુરો પાડવાની કામગીરી કરી રહ્યા છે. શરૂઆતમાં અમારી સંસ્થા દ્વારા કુતરાઓને બિસ્કીટ આપવામાં આવતા હતા. તે બાદ અમે દૂધ-પૌંઆ આપીએ છી. ગાયો માટે અમે તલસટ ગામની સીમમાં રૂપિયા 30 હજારમાં ઘાસચારો ઉગાડેલ ખેતર રાખ્યું છે. આ ખેતરમાંથી અમે કાર્યકરો રોજ સવારે ઘાસ કાપવા જઇએ છે. અને તે ઘાસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રસ્તે રઝળતી ગાયોને ખવડાવી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો ઘરમાં બકરીઓ રાખે છે. તે લોકોને પણ ફોન આવે ત્યારે ઘાસ પહોંચાડી રહ્યા છે.
ઇજાગ્રસ્ત અને બિમાર પશુ-પક્ષીઓની સારવાર કરે છે
પ્રાણીઓ માટે કામ કરતા નેહાબહેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુંગા પશુ-પક્ષીઓને ભોજન પુરું પાડવા સાથે અમારી સંસ્થા દ્વારા અકસ્માતે ઇજા પામેલા અથવા બિમાર થયેલા પશુ-પક્ષીઓની પણ સારવાર કરી રહ્યું છે. રોજ બરોજ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓ માટેના અમોને 10થી 12 ફોન આવી રહ્યા છે. અમારી ટીમો દ્વારા ફોન આવેલા વિસ્તારોમાં પહોંચીને ઇજાગ્રસ્ત મુંગા પશુઓની સારવાર કરી રહ્યું છે. જ્યારથી લોકડાઉન થયું છે. ત્યારથી અમારી સંસ્થા દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા અમારી કામગીરી અંગે સહકાર આપી રહ્યું છે. જોકે, વડોદરા પોલીસ તંત્ર દ્વારા પણ શહેરમાં મુંગા પશુ-પક્ષીઓનું ધ્યાન રાખી રહી છે.
હિંમતભેર મુંગા પશુઓને બચાવવાની કામગીરી કરે છે
નોંધનીય છે કે, મુંગા પશુ-પક્ષીઓ માટે કામ કરી રહેલ અગ્નિ વિર અને પ્રાણીન ફાઉન્ડેશનના સંચાલિકા નેહા પટેલ અને તેઓની ટીમ દ્વારા સામાન્ય દિવસોમાં કતલખાને લઇ જવાતી ગાયો, પાડા, અને ગૌવંશને બચાવવાનું પણ કામ કરે છે. અત્યાર સુધીમાં આ સંસ્થાના કાર્યકરો દ્વારા હજારો ગાયો, ગૌવંશને કતલખાને કપાતા બચાવ્યા છે. પોતાના જીવના જોખમે કામ કરતા નેહા પટેલ અને તેમના કાર્યકરો ઉપર કતલખાને મુંગા પશુઓને લઇ જતા ટ્રક ચાલકો દ્વારા હુમલાઓ પણ કરવામાં આવ્યા છે. પરંતુ, આ સંસ્થાના કાર્યકરો કામગીરી બંધ કરી દેવાના બદલે હિંમતભેર મુંગા પશુઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.