રાજપીપળાઃ કોરોના વાઈરસની મહામારી પગલે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળામાં વણિક પરિવારના મોભીના મૃત્યુ બાદ લોકડાઉન અને કલમ-144નો અમલ થાય તે હેતુથી ડીજીટલ બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેસબુક લાઇવ અને વોટ્સએપ કોલિંગના માધ્યમથી લોકો બેસણામાં જોડાયા હતા.
વણિક પરિવારે લોકડાઉનનો ભંગ પણ ન કર્યો અને બેસણ પણ કર્યું
રાજપીપળામાં વણિક સમાજના મોભી ગિરીશચંદ્ર મોતીલાલ પરીખનું 19 માર્ચના જ 85 વર્ષની વયે મૃત્યુ થયુ હતું. લોકડાઉન દરમિયાન 31 માર્ચના રોજ તેમનું બેસણું આવતું હતું. વણિક પરિવારેલોકો સાથે વ્યવહાર પણ સાચવવો હતો અને કોરોના વાઈરસના કહેર વચ્ચે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવું હતું, જેથી તેમણે ફેસબુક અને વોટ્સએપને બેસણાનુંમાધ્યમ બનાવવાનું નક્કી કર્યું હતું. આજે 31 માર્ચે બેસણાના દિવસે વણિક પરિવારે ફેસબુક લાઈવ અને વોટ્સએપ વીડિયો કોલિંગ દ્વારા ડીજીટલ બેસણું યોજ્યું હતું અને કોરોના વાઈરસના કહેર વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસિંગ પણ જાળવી રાખ્યું હતુંઅને કલમ-144નો ભંગ પણ કર્યો નહોતો.
ડીજીટલ બેસણામાં જોડાયેલા લોકોએ પરિવારને સાંત્વના આપી
ડીજીટલ બેસણામાં જોડાયેલા લોકોએ વણિક પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી. ડીજીટલ બેસણામાં વણિક પરિવારના 15 જેટલા લોકો જ હાજર રહ્યા હતા અને તમામ લોકોએ સેનેટાઇઝર દ્વારા પોતાના હાથ સેનેટાઇઝ કરીને અંદર પ્રવેશ કર્યો હતો.
લોકો બેસણામાં હાજરી આપી શકે તે માટે ડીજીટલબેસણુ કર્યું
વણિક પરિવારના સમાજના આગેવાન ઉરેશ પરીખ અને અજિત પરીખે જણાવ્યું હતું કે, હાલ કોરોના વાઇરસના કહેરને લીધે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાને મ્હાત આપવા કોઈએ ઘરની બહાર ન નીકળવું એવું પીએમ મોદીએ લોકોને આહવાન કર્યું છે. અમુક લોકો મરણમાં નથી આવી શક્યા, એવા અમારા પરિવાર અને મિત્રો બેસણામાં આવી શકે એ માટે અમે ફેસબુક લાઈવ અને વોટ્સએપ કોલિંગના માધ્યમથી બેસણાનું આયોજન કર્યું છે.
(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)