ભાવનગર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરના એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક વૃદ્ધ દર્દીનું મોત નીપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.
મૃતક વૃદ્ધ 11 માર્ચે દિલ્હી ફ્લાઇટમાં આવ્યા ત્યારે ASI તેના સંપર્કમાં આવ્યા હતા
કોરોના વાઇરસના પોઝિટિવ વૃદ્ધનું 26 માર્ચે ભાવનગરમાં મોત નીપજ્યું હતું. આ વૃદ્ધ 8 માર્ચે ભાવનગરથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. બાદમાં 11 માર્ચે તેઓ ફ્લાઇટમાં પરત ફરતા હતા ત્યારે ભાવનગર હેડક્વાર્ટરના ASI તેના સંપર્કમાં આવ્યા હતા. ASIના સંપર્કમાં 3 મહિલા પોલીસ અને અન્ય 10 પોલીસ કર્મચારીઓ સંપર્ક આવ્યા હતા. આથી ભાવનગર પોલીસે 27 માર્ચે તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા.
દિલ્હીથી આવેલા ASI 12 માર્ચે ફરજ પર હાજર થયા હતા
મૃતકના સંપર્કમાં આવેલા ASI 12 માર્ચે ફરજ પર હાજર થઇ ગયા હતા. આથી સાથે રહેલો પોલીસ સ્ટાફ, તેના ઘરના સભ્યો, મિત્રો પણ સંપર્કમાં આવ્યા હોવાથી કોરોનાની શંકા સેવાઇ રહી છે. તેમજ વૃદ્ધ જે તબીબ પાસે સારવાર કરાવી ત્યારપછી તબીબે પણે 10 દિવસ સુધી સેંકડો દર્દીની સારવાર કરી હતી. તબીબના સંપર્કમાં આવેલા દર્દીઓ તેના સગાઓ સહિત લાંબુ લચક લીસ્ટ બને તેવી સંભાવના છે. હાલ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.