સિવિલ હોસ્પિટલમાં નિરાધાર 12 વર્ષીય કિશોર કોરોના વાઈરસના લોકડાઉનને લઈને અટવાઈ ગયો હતો. અજાણ્યો બીમાર બિનવારસી કિશોરને છોડીને જતા રહ્યા બાદ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ નાનો ભાઈ સમજી સાજો કર્યા હતો.
ગાંધીનગરથી ભાગીને સુરત આવ્યો
રાજુ નામનો કિશોર મૂળ યુપીનો રહેવાસી છે. માતા-પિતાના મૃત્યુ બાદ કિશોર ઉત્તર પ્રદેશથી મજુરી કરવા ગુજરાત આવ્યો હતો. કિશોર પહેલા ગાંધીનગર સેક્ટર 19 આશ્રમ રોડ પરના અનાથ આશ્રમમાં રહેતો હતો. બીમાર પડતા ભાગીને સુરત આવી ગયો હતો. થોડા દિવસો પહેલા કોઈ અજાણ્યો કિશોરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. ત્યારબાદ અજાણ્યો ચાલી ગયો હતો. બિનવારસી કિશોરની એચ-2 વોર્ડમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો નાનો ભાઈ સમજી સારવાર કરી હતી. જેથી તે સ્વસ્થ થઈ ગયો હતો.
કિશોરની 20 દિવસ સારવાર કરી
કિશોરની 20 દિવસ સારવાર કરતા સ્વસ્થ થઈ ગયો હતો. જોકે, કોરોના વાઈરસને લઈને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈસને લઈને આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેથી હાલ કોરોનાના પોઝિટિવ અને શંકાસ્પદ કેસોમાં વધારો થતા સિવિલના કર્મચારીઓ આ કિશોર દર્દોને લઈ ચિંતિત હતા. સિવિલના આરએમઓ અને ત્યારબાદ સિવિલ ચોકીના કોન્સ્ટેબલ હેમંતને જાણ કરાતા કિશોરને ચોકીમાં લવાયો હતો.
બાળઆશ્રમમાં મોકલાયો
બાળ દર્દીએ કહ્યું હતું કે, હું તો સાજો થઈ જતા રજા આપી દેવાઈ હતી. જોકે કોઈ વાલીવારસ ન હોવાને કારણે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર ભાઈઓ સાથે વોર્ડમાં જ રહેતો હતો. ત્યારબાદ ખટોદરા પોલીસ ચાઈલ્ડ ઓફિસરનો સંપર્ક કરતા હાલ કિશોરને કતારગામ બાળઆશ્રમમાં મોકલ્યો છે.
ભાઈ મારઝૂડ કરતો હોવાથી ભાગી આવ્યો
મેને મમ્મી કો તો દેખ નહીં પર પાપા 3 સાલ પહેલે ઓફ હો ગયે થે કહેતો માસૂમ રાજુ પોતે HIV નો દર્દી હોવાનું કહીં રહ્યો છે. માતા-પિતાના મૃત્યુ બાદ ભાઈ મારઝૂડ કરતા હોવાથી વતન યુપી ગોરખપુર છોડી ગુજરાત આવી ગયો હતો. ભાઈ ભાભી ખાના નહીં દેતે થે ઓર મારતે થે એવું કહી રાજુએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. લગભગ 30 દિવસ પહેલા ગુજરાત આવેલા રાજુને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપનાર ડોક્ટરોનો આભાર માન્યો હતો. હવે રાજુ તેનું બાકીનું જીવન સુરતમાં જ કાઢવા માગે છે અને પેટ ભરવા મજુરી કામ કરવાની તૈયારી બતાવી રહ્યો છે. હાલ રાજુને કતારગામ બાળઆશ્રમમાં રાખવામાં આવ્યો છે. જોકે ત્યાંના કર્મચારીઓ પણ રાજુની કોઈ ચોક્કસ બીમારીથી વાકેફ ન હોવાથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.