દાહોદ: દાહોદ શહેરમાં 2 સપ્ટેમ્બરે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.ગણેશ મંડળના આયોજકોએ ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રીએ ઝાંખી સભર વિવિધ ડેકોરેશન અને શણગારની કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. સોમવારે દાહોદ શહેરમાં આખો દિવસ ઢોલ, ત્રાસા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વાજતે ગાજતે ‘ગણપતિ બપ્પા મોરયા’ના નાદ સાથે શ્રીજીની સવારીઓ કાઢીને વિસ્તારોમાં વિધિવત રીતે પૂજા અને ગણેશ સ્તુતિ બાદ આસ્થા સાથે સ્થાપન કર્યું હતું.
દાહોદ શહેરમાં સોમવારના રોજ વિવિધ મંડળો દ્વારા 40 મોટી અને 150 મધ્યમ કદની પ્રતિમાઓનું સ્થાપન કરાયુ હતું. પ્રકૃતિ મિત્ર મંડળના ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વર્કશોપમાં બનેલી માટીની 1221, નગર પાલિકા આયોજિત સ્પર્ધામાં બનેલી 300, શહેરના નવ ગણેશ મંડળો અને શહેરના હેમંત સિઝનલ માર્કેટમાંથી વેચાયેલી માટીની 40 મળીને કુલ 1610માટીની પ્રતિમાનું ઘર અને લત્તાઓમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરમાં 15 સ્થળે થીમ બેસ ડેકોરેશન કરવામાં આવતાં તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શહેર સાથે જિલ્લાના લીમખેડા. દેવગઢ બારિયા,ફતેપુરા, સંજેલી, ધાનપુર, ઝાલોદ, સીંગવડ, ગરબાડા તાલુકા સહિત ગામેગામ દબદબાભેર ગણેશજીની પ્રતિમાનું પૂજન અર્ચન સાથે સ્થાપન કરવામાં આવતાં ધાર્મિક વાતાવરણ સર્જાયુ હતું.
ક્યા ક્યા વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી પ્રતિમા લવાઇ
શહેરના ચાકલીયા રોડ સ્થિત પંકજ સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ, સોનીવાડ નજીક માળી સમાજ વાડી, બસ સ્ટેશન નજીક યાદવ ચાલ, ગૌશાળા નજીક ભીલવાડા, ઠક્કર ફળિયા, રેલવે સ્ટેશન રોડ,પોલીસ લાઇન વગેરે સ્થળોએ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ લાવીને તેની સ્થાપના કરવામાં આવી છે.
સાડા આઠ દાયકા અગાઉ દાહોદનો પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ યોજાયો હતો
1935-‘36 વર્ષમાં દાહોદના રેલ્વે વર્કશોપમાં ફરજ બજાવતા એક મરાઠીભાઉએ દાહોદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે દાહોદની સર્વપ્રથમ સાર્વજનિક ગણેશ સ્થાપના કરેલી. જે શહેરની એકમાત્ર સાર્વજનિક સ્થાપના હતી. પ્રાપ્ત માહિતી મુજબ તે વર્ષે મરાઠી ભાઈએ લોકોના સહકારથી જાતે જ માટીની પ્રતિમા બનાવેલી અને સ્થાપેલી. આ સ્થાપના પ્રથમ વખત સાર્વજનિક ધોરણે હોઈ લોકોને વિશેષ આકર્ષણ હતું. દશ દિવસના આતિથ્ય બાદ માટીની આ પ્રતિમાનું છાબ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.