સુરતઃ શનિવારે રાત્રે આઇસોલેશન વોર્ડમાંથી બે પોઝિટિવ દર્દીઓને કઈ પણ કહ્યા વગર ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દેવાયા હતા અને ત્યાર બાદ લોક મારી કર્મચારીઓ રવાના થઈ ગયા હતા. બન્ને દર્દીઓને 12 કલાક સુધી પાણી પણ ન મળતા એક દર્દીએ પરિચિત વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ તેમણે આરોગ્ય મંત્રીને ફરીયાદ કર્યા બાદ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પોઝિટીવ દર્દીઓને રાત્રી દરમિયાન પાણી પણ ન મળ્યુ હતું. નાનપુરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય યુવક નાનપુરાના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા છેલ્લા દસ દિવસ થી તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. શનિવારે રાત્રે તેમને તેમજ તેમની સાથે દાખલ રાંદેર વિસ્તારના અને દુબઈનો પ્રવાસ કરી આવેલા પોઝિટીવ દર્દીને ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. લગભગ રાત્રે 10:30 વાગ્યે ટ્રોમાં સેન્ટરમાં શિફ્ટ કર્યા બાદ સવારે 10:30 સુધી ચા, પાણી કે નાસ્તો પણ ન મળ્યો હતો. ફરિયાદ કર્યા બાદ પ્રાથમિક સુવિધાઓ મળી હતી.
એક વિનંતી… અંતર જાળવો અને સુરક્ષિત રહો
સમગ્ર વિશ્વ એક કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ જ એક માત્ર ઉપાય તરીકે કારગર સાબિત થઇ રહ્યો છે. સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં આઇલેન્ડનું સ્કલ્પચર જાણે બે હાથ જોડીને સુરતીઓને અંતર જાળવીને સુરક્ષિત રહેવાનો સંદેશો આપતો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ ઉતરી વડોદરા બે દિવસ મિત્રને ત્યાં રહ્યો, બાદ યુવક સુરત આવ્યો
યુએઈ થી પરત ફરેલા યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. યુવકના સંપર્કમાં આવેલા પરિવારના 4 સભ્યોને ક્વોરોન્ટાઇન કરી સંપર્કમાં આવેલા અન્યોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ યુવક 21મીએ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યો હતો ત્યાર બાદ એ 21 અને 22 તારીખ સુધી વડોદરા તેમના એક મિત્ર સાથે રહ્યો હતો. 23મીએ ઉધના ખાતે પોતાના ઘરે પરત આવ્યો હતો. હાલ આ યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે રવિવારે 12 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા તેમજ ગઈ કાલે નોંધાયેલા અને પેન્ડિંગ 6 સહિત કુલ 14નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે જિલ્લાના 2 સહિત 5નો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.