અમદાવાદ: શહેરમાં કોરોના વધુ ઘાતક બની રહ્યો છે. શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે અને કોરોના ચેપને લઈને ફરતા વાહકો વધી ગયા હોવાની આશંકા મ્યુનિ.હેલ્થ વિભાગે વ્યકત કરી છે. છેલ્લા બે દિવસમાં થયેલા બંન્ને મોતમાં હજુ સુધી તેમને ચેપ કેવી રીતે લાગ્યો તે હેલ્થ વિભાગની ટીમો શોધી શકી નથી. બંને મૃતકોની કોઈ પણ વિદેશી હિસ્ટ્રી ન હોવા છતાં મૃત્યુ થયું હોવાથી હેલ્થ વિભાગને આ શંકા છે. શહેરના દરેક ઝોનમાં હવે પોઝિટિવ કેસની સંખ્યા પણ નોંધાઈ છે. તમામ ઝોનમાં વત્તાઓછા પ્રમાણમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત શહેરમાં હજારોની સંખ્યામાં વિદેશી લોકો પણ આવ્યા છે. જેઓ ક્વોરન્ટાઈન હેઠળ છે. અંદાજે 924 લોકો અમદાવાદ શહેરમાં સેલ્ફ ક્વોરન્ટાઈન અને મ્યુનિ.એ અલગ અલગ પાંચ સ્થળોએ ઊભા કરેલા ક્વોરન્ટાઈનમાં રાખ્યા છે. આ લોકોના સંપર્કમાં આવેલા ઘણાં બધા લોકો પણ હજુ ભાગતા ફરે છે. આ લોકો પણ ચેપ લઈને ફરતા હોવાની શંકા છે.
આ વિસ્તારમાં પોઝિટિવ કેસ
- આંબાવાડી
- નવરંગપુરા
- સાઉથ બોપલ
- દાણીલીમડા
- સરખેજ
- ગોમતીપુર
- આનંદનગર
- શ્યામલ
- આસ્ટોડિયા
- અસારવા
- ખોરજ
- સનાથલ
બે મૃતક કોને કોને મળ્યા હતા તે શોધવા ચાર ટીમ
આસ્ટોડિયા અને ગોમતીપુરમાં મૃત્યુ પામેલા લોકોના સંપર્કો ચેક કરવા માટે મ્યુનિ.ની ચાર અલગ-અલગ ટીમો કામે લાગી છે. પરંતુ હજુ સુધી તેમને ચેપ ક્યાથી લાગ્યો તે સ્પષ્ટ થયું નથી. ગોમતીપુરમાં જે આધેડનું મૃત્યુ થયું તે છૂટક મજૂરી કામ કરતા હોવાથી સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું પણ મ્યુનિ. અધિકારીઓ માની રહ્યા છે.
એસવીપીમાં કોરોનાના બેડની સંખ્યા 42થી વધારીને 300 કરવામાં આવી
શહેરમાં કોરોનાના કુલ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અત્યાર સુધી પાંચ લોકોના મૃત્યુ થયા છે ત્યારે એસવીપી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારીને 300 કરી દેવાઈ છે. અત્યાર સુધી બેડની સંખ્યા 42 હતી. હવે એસવીપીમાં ખાલી તમામ ફ્લોર પર કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. બીજી તરફ સંખ્યાબંધ લોકો જાતે પણ એસવીપીમાં દાખલ થવા જતા હોવાથી બેડ વધારાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today