અમદાવાદ: શહેરમાં રવિવારે પણ 47 વર્ષના ગોમતીપુરના એક આધેડનું કોરોના વાઈરસના ચેપથી માત્ર 24 કલાકમાં મોત થયું હતું. કોરોનાના લોકલ ચેપનો આ બીજો કિસ્સો છે. આમાં પણ મૃતકે કોઈ વિદેશ પ્રવાસ કર્યો ન હતો કે, વિદેશથી આવેલાના સંપર્કમાં ન હતો. મૃતકને શુક્રવારે સાંજે 6 વાગ્યે સિવિલમાં લવાયા હતા અને શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું. ડાયાબિટીક આધેડને શ્વાસની બીમારીને લીધે નરોડાની ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ લવાયા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો પરંતુ રિપોર્ટ આવતાં પહેલાં જ મૃત્યુ થયું હતું.
મૃતકના પરિવારના ચાર સભ્યો અને તેની સારવાર કરનારા ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ક્વોરન્ટાઈન કરાયા છે. રવિવારે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાંથી એક કેસ દુબઈથી આવેલા 29 વર્ષના યુવકનો, ખોરજ ગામના એક આધેડનો સમાવેશ થાય છે. આ આધેડ ગાંધીનગરના એક પોઝિટિવ દર્દીના કર્મચારી છે. આ ઉપરાંત ઈન્દોરમાં સગાંની ખબર કાઢવા ગયેલા સરખેજના 70 વર્ષના વૃદ્ધની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.