કોરોના કહેરનો વ્યાપ હવે શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરે એ પૂર્વે જિલ્લાનું વહીવટી તંત્ર હવે સતર્ક બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણબાબુએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને આપેલા આદેશ અનુસાર દસક્રોઈ તાલુકા વિકાસ અધિકારી પંકજકુમારે દસક્રોઈના તમામ ગામોને અન્ય શહેરમાંથી ગ્રામ્ય લેવલે આવેલા લોકોની અવરજવર ઉપર તકેદારી રાખવા રજીસ્ટર બનાવવા બેનરો મારવા તેમજ ગ્રામ યોદ્ધા કમીટી બનાવવા સરપંચોને સૂચના આપી છે. દસક્રોઈમાં ટીડીઓના આદેશ મુજબ ઝાણું,ગેરતનગર સહિત અન્ય ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં ચેતવણીના બેનર નોટિસ
મુકાયા છે.
પ્રવેશ કરતાં લોકો જોઈ શકે તે રીતે બેનર લગાવવાનું રહેશે
ટીડીઓની સૂચના આદેશ મુજબ રાજ્ય ના અન્ય શહેરોમાંથી ગ્રામ્ય લેવલે આવેલા લોકોની અવરજવર ઉપર પૂરતી તકેદારી રાખવા રજીસ્ટર બનાવવાનું રહેશે. અન્ય શહેર માંથી ગામમાં પ્રવેશ કરતા લોકોની યાદી રજીસ્ટ્રે રાખવાની રહેશે તેમજ આ બાબતની રજીસ્ટ્રેશન નોંધણી અચૂક થાય તે અંગેની કામગીરી સરપંચશ્રીએ રાખવાની રહેશે. સરપંચોએ આવું જ રજીસ્ટર ફરજીયાત નિભાવવાનું રહેશે. બહાર ગામમાં પ્રવેશ કરતાં લોકો જોઈ શકે તે રીતે બેનર લગાવવાનું રહેશે જેથી અન્ય શહેરમાંથી આવેલ નાગરીકો જોઈ શકે. બેનર તેમજ રજીસ્ટર સાથે ગ્રામ પંચાયતને ગ્રામયોધ્ધા કમિટીની રચના કરવા જણાવવામાં આવ્યુ છે. આ કમીટીમાં સરપંચ ,તલાટી સામાજિક કાર્યકર ,ધાર્મિક કાર્યકર, શાળાના શિક્ષક અને એક પોલીસ ગાર્ડ નો સમાવેશ કરવાનો રહેશે .
આ કમિટીએ કોરોના વાયરસ અટકાયતી કામગીરી તેમજ અન્ય શહેર માંથી આવેલ લોકોનું રજીસ્ટર કામગીરી ઉપર ધ્યાન આપવાનું રહેશે. તાલુકા પંચાયતે જ એક જગ્યાએ સમાન સુચનાવાળા બેનર છપાવી આપવા જોઈએ એવું દસક્રોઈ સરપંચોનું કહેવું છે. જોકે આ અંગે દસક્રોઈ ટીડીઓ પંકજકુમારે જણાવ્યું કે છાપેલાં જ બેનર જોઈએ એવું નથી.બેનર પડદા પર લખીને જાણકારી આપી શકાય.