Home Gujarati શહેર લોકડાઉન છતાં PCR દોડતી રહી, 300થી વધુ કોલમાં 88 ઝઘડાના તો...

શહેર લોકડાઉન છતાં PCR દોડતી રહી, 300થી વધુ કોલમાં 88 ઝઘડાના તો ટોળાના 187 કોલ

86
0



કોરોના ન ફેલાઇ તે માટે દેશ આખો લોક ડાઉન છે. ત્યારે રજાનો માહોલ માળી રહેલા લોકો ઘરમાં રહેવાને બદલે ટોળે વળીને રહેતા હોવા ઉપરાંત ઝઘડો કરતા હોવાથી આખો દિવસ પોલીસની પીસીઆર વાન દોડતી રહી હતી. બુધ‌વારે 300થી વધુ કોલ પીસીઆરને આવ્યા હતા.

કોરોના વાઈરસની ગંભીરતા હજુ લોકો સમજી રહ્યા નથી. લોક ડાઉનમાં ઘરમાં રહેવાને બદલે લોકો ઝઘડા કરી રહ્યા છે. શહેરની પીસીઆરને માત્ર ઝઘડો કરતા હોવાના જ 88 કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધુ અમરોલી અને લીંબાયતમાં 12-12 કોલ મળ્યા હતા. જ્યારે દારૂ પીને ધમાલ કરવાના 17, અકસ્માતના 2, આપઘાત- આપઘાતના પ્રયાસના 8, ચોર પકડાયાના 3, તેમજ કંટ્રોલ રૂમ તરફથી ટોળા એકત્ર થવાના, દુકાન, કારખાના અને લારી ગલ્લા ચાલુ હોવાના 187 કોલ મળતા પીસીઆર વાન દોડતી રહી હતી.

કેટલાક વિસ્તારની અંદર લોકો બેફિકર થઇને ફરતા નજરે પડ્યા હતા.પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો પણ જોવા મળ્યા હતા. કેટલાક ઠેકાણે પોલીસ દ્વારા બહાર કારણ વગર નીકળેલા લોકોને માસ્ક આપવામાં આવ્યું હતું અને દંડ બેઠક પણ કરાવાઈ હતી. જોકે કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા અને ટીઆરબીના જવાનો દ્વારા લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોની સોસાયટીઓ અને આંતરિક વિસ્તારની અંદર મેડિકલ અને આવશ્યક સેવાઓ સિવાયની પણ દુકાનો ખુલ્લી હતી.જ્યારે પેટ્રોલ પંપ સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી જ ખુલ્લા જોવા મળ્યા હતા.

કોરોના વાયરસને કારણે રસ્તો બંધ કરનારનેે ચાર યુવકે માર મારી પથ્થરમારો પણ કર્યો

ચોકબજાર ઢીંગલી ફળિયામાં રહેતા અને ફીંઝ-એસીનું રિપેરીંગ કામ કરતા ઝહીરઉદ્દીન સૈયદએ કોરોના વાયરસને કારણે મહોલ્લાનો રોડ બંધ કરી દીધો હતો. જેથી કેટલાક તોફાનીતત્વોએ 24મી તારીખે રાત્રે આવીને રસ્તો ખુલ્લો કરી નાખતા મામલો ગરમાર્યો હતો. ઝહીરઉદ્દીન તેને સમજાવવા ગયા તો તેમની સાથે મારામારી કરી નાખી હતી એટલું જ નહિ તોફાની તત્વોએ પથ્થર મારો કરતા ફતેહ મોહમદના ઘરના નળિયાને નુકશાન થયું હતું. અઠવા પોલીસે ફરિયાદ લઈને તોફાની તત્વોમાં દાઉદ ખુરેશીં, જુનેદ ચાઇનીઝ, મોના ચાઇનીઝ અને ઈમરાન ભઠીયારા(તમામ રહે, ખાટકીવાડ,ચોકબજાર)ની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે.

કતારગામમાં ટીઆરબી અને એફઓપીએ સુમુલ ડેરીના ટેન્કર અને શાકભાજીના ટેમ્પો અટકાવ્યા

કોરોનામાં એક તરફ પોલીસ દ્વારા માનવતાના કાર્યો થઈ રહ્યાં છે, ત્યારે કતારગામમાં ટીઆરબી અને એફઓપીના જવાનો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો બન્યા છે. જેમાં સુમુલ ડેરીના ટેન્કરને પણ અટકાવવામાં આવી રહ્યા છે અને શાકભાજીના ટેમ્પોચાલકો સાથે પણ બેહુદુ વર્તન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાને કારણે સરકાર દ્વારા આવશ્યક સેવાઓ સિવાય તમામ કાર્યો થંભાવી દીધા છે. તેની સાથે કોરોના પ્રસરે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત કરાયો છે. સુરતમાં પોલીસની અછતના કારણે ટીઆરબી અને ફ્રેન્ડસ ઓફ પોલીસની પણ મદદ લેવાઈ રહી છે.

વરાછા એપલ હાઇટ્સનો ગેટ બંધ કરવાનો નિર્ણય લેનાર પ્રમુખ પર પિતા-પુત્રનો હુમલો

મોટા વરાછા સીએનજી પંપ પાસે એપલ હાઇટ્સમાં સોસાયટીની કારોબારીએ બિલ્ડીંગના મુખ્ય દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઇમરજન્સી વખતે જ લોકોએ બહાર જવા રહીશોને સુચના આપી પ્રમુખ મહેશ પોપટભાઇ કાકડીયાએ બિલ્ડીંગના મુખ્ય દરવાજા બંધ કરાવી ગેટ પર સેનેટાઇઝર મૂકાવ્યા હતા. આ ગેટ બંધ થતા સી-1103માં રહેતા ભીમજી મોરડીયાએ ગેટ કેમ બંધ કરી દીધો એમ કહી પ્રમુખ મહેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેના દિકરા ગોપાલ અને મિતુલ દોડી આ‌વ્યા અને પ્રમુખને માર મારી ગેટ બંધ કર્યો છે તો જીવતો નહીં રહેવા દઇશ એવી ધમકી આપી હતી.

‘શું અમારે ઘરમાં બેસી રહેવાનું’, કહી મહિલા PSIને ગાળો આપનાર મહિલાને દંડાવાળી

લોકડાઉન વચ્ચે પોલીસ પોતાનો જીવ જોખમમાં મુકી બંદોબસ્તમાં ઊભી હોય છે ઉપરથી મહિલાએ પીએસઆઈને ગાળો આપી હતી. જેના કારણે મહિલા પીએસઆઈએ પિત્તો ગુમાવી મહિલાની દંડા‌વાળી કરી હતી. આ ઘટના ગુરુવારે સવારે અડાજણ સરદાર બ્રીજના છેડા પાસે બની હતી. જેમાં એક મહિલા બાઇક પતિ સાથે આવી હતી. મહિલા અઠવાગેટ તરફ જવા સરદાર બ્રિજ પરથી જવા માંગતા હતા. મહિલા પીએસઆઈએ તેને સમજાવીને કહ્યું કે અહીં રસ્તો બંધ છે અને લોકડાઉન છે તમે કેમ ઘરમાંથી બહાર નીકળો છો ત્યારે મહિલાએ કહ્યું કે શું અમારે 21 દિવસ સુધી ઘરમાં બેસી રહેવાનું, બહાર નીકળવાનું નહિ કહી પીએસઆઈને અપશબ્દો બોલવા લાગી હતી. આખરે મહિલા પીએસઆઈએ દંડાવાળી કરતા મહિલાને ભાગવું પડયું હતું.

કોરોના ઇફેક્ટ: ઘરમાં બંધ પરિવારજનો વચ્ચે ઘર્ષણ, વકીલોને ફોન, ‘કંઇ કરો’

કોરોના ઇફેક્ટ વચ્ચે જ્યાં લોકોને 21 દિવસ સુધી ઘરે જ રહેવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાંક ઘરની અંદરનો માહોલ બગડવા લાગ્યો છે. વકીલોને આવી રહેલાં ફોન કોલ્સ પરથી તેનો અંદાજો આવી રહ્યા છે. ખાસ કરીને પતિ-પત્ની, સાસુ-વહુ, નણંદ વચ્ચેની ચકમક વધી રહી છે. ફોન પર વકીલો આવા કેસમાં સંયમ જાળવી રાખવા અને કપરી પરિસ્થિતિમાં એકમેકનો સાથ-સહકાર આપવાની સલાહ આપી રહ્યા છે.એડવોકેટ પ્રીતિ જોષી કહે છે કે હાલ આવા કેસ ફોન પર જ હેન્ડલ કરી રહ્યા છીએ. આ અંગે એડવોકેટ ઈલ્યાસ પટેલે જણાવ્યું કે, લોકોના અનેક પ્રકારના કોલ આવી રહ્યા છે. પતિ-પત્ની અને સાસરિયાઓ વચ્ચેના ઝઘડાંના કોલ આવે છે. આ ઉપરાંત પોલીસે માર માર્યો હોવાના કોલ છે. કેટલાંક કોલ તો એવા છે કે વીડિયો કોન્ફરન્સથી કેસ ન ચલાવી શકાય, એવું થતું હોય તો કરાવોને પ્લીઝ.’

કોરોના સામે જંગ જીતવા દેશ એક જૂથ થયો છે ત્યારે ઝઘડવાને બદલે સમજદારી જરૂરી

આ ખોટું છે

{કેસ નંબર-1 : નાનપુરાના દંપતિ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. બાદમાં લોક અદાલતમાં સમાધાન પણ થયું હતુ. જોકે, હાલ ફરી બંને વચ્ચે મોબાઇલના રિમોટને લઇને ઝઘડો થતાં પત્ની પિયર રહેવા જતી રહી છે.

{ કેસ નંબર-2 : એક કોલ એવો આવ્યો હતો જેમાં પત્નીની તકરાર હતી કે ઘરમાં પતિ છે, બાળકો છે અને સાસુ-સસરા છે. હાલ, કામવાળી આવતી નથી એટલે હું જ કામવાળી બની ગઈ છું. પતિ ટીવી જોયા કરે છે કે ટીકટોક પર હોય છે. આ દિવસોમાં હું ત્રાસી ગઈ છું. દરેક કામ મારા ભાગે છે.

{કેસ નંબર-3 : બીજા અનેક પ્રકારના કોલ્સ આવી રહ્યા છે જેમાં કોઇને નોટિસ આવી હોય તો જવાબ આપવો પડશે, જવાબ આપવાની તારીખને ચાર દિવસ વીતી ગયા છે. કોઇને કોર્ટનું સમન્સ મળ્યુ છે તો તે પુછે કે જવુ પડશે. કોઇને પોલીસ સ્ટેશનમાં અરજી કરવી છે તો શું કરવાનું , જવા દેશે વગેરે સવાલો પુછી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today