દહેલી ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાંટ અને સ્વભંડોળમાં થયેલા વિકાસના કામોમાં ગોબાચારી કરીને નાણાંની ઉચાપત કર્યાનો આક્ષેપ મુકતી ફરિયાદ કલેકટર અને પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારીને એ જરૂરી તપાસના આદેશ કરાતા ગ્રામ પંચાયતમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
ઉમરગામ દહેલીના ભંડારીપાડામાં રહેતા વિજય રમણભાઇ પટેલે થોડા સમય અગાઉ કલેકટર અને પ્રાંત અધિકારીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, દહેલી ગ્રામ પંચાયત દ્વારા સરકાર તરફથી મળેલી વિવિધ ગ્રાંટ તથા પંચાયતના સ્વભંડોળમાંથી વિકાસના કાર્યો પૂર્ણ કર્યા વિના જ નાણાં ઉપાડીને ઉચાપત થઇ હોવાનો આક્ષેપ કરાયો હતો. દહેલી ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાની ગોબાચારી કરવામાં આવી હોવાની ફરિયાદના પગલે તાલુકા વિકાસ અધિકારીએ આ ફરિયાદના અનુસંધાનમાં જરુરી તપાસના આદેશ કર્યા છે. પંચાયતના વિસ્તરણ અધિકારી અને જાહેર બાંધકામ વિભાગના ઇજનેરના આ બાબતે જરૂરી તપાસ કરીને રીપોર્ટ સબમિટ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યા છે. બીજી તરફ ફરિયાદી વિજય પટેલ એવી માગ કરી રહ્યા છે કે, જો ફરિયાદ મુજબ સરકારી નાણાંની ઉચાપત બહાર આવે તો સરકારી નાણાંની રકમ જવાબદારો ઇસમો પાસે ભરપાઇ થવી જોઇએ.
સરકારી ગ્રાન્ટ અને સ્વભંડોળમાં ગોબાચારીના આક્ષેપ