કલોલ: કલોલ કલ્યાણપુરામાં આવેલ નવી શાક માર્કેટ પાસે સામાન્ય બાબતે બે યુવકો વચ્ચે થયેલી મારામારીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુ હતું. અથડામણમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી પરંતુ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસે મામલો વધુ બીચકે તે પહેલાં સ્થિતિ કાબૂમાં લઈને બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના કલ્યાણપુરા પાસે નવી શાક માર્કેટની બાજુમાં ગંજીવાસના નાકે પોતાની કેબીન ચલાવતા રજનીકાન્ત ઉર્ફે બચુભાઇ અંબાલાલ પટેલના ત્યાં સંદીપ ધોબી નામનો યુવક બેઠો હતો. ત્યારે ત્યાં ધસી આવેલા એઝાઝ ઉર્ફે ભુરો તથા અયુદ્દીન ઉર્ફે મઇલાભાઇ, ભુરાના પિતા અબ્દુલકાદર અને એક લાલ ટી-શર્ટ પહેરેલો શખ્સ આવ્યા હતા. જેઓએ અંગત અદાવતમાં સંદિપ ધોબીને મારમારતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ધસી આવેલા એક જુથના ટોળાએ રજનીકાન્તભાઇના કેબીનમાં તોડફોડ કરી આજુબાજુની ગાડીઓના કાચ તોડી આતંક મચાવ્યો હતો. સામે પક્ષે સંદિપ ધોબી, પપ્પુ ધોબી અને રજનીકાન્ત પટેલ સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ઘટના સંદર્ભે હિંદુ સંગઠનો દ્વારા રેલી કાઢીને મામલતદાર તથા પ્રાંત અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ વિસ્તારમાં દબાણો કરી તોફાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
એસપીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
મોડી રાત્રે થયેલી અથડામણને પગલે કલોલ તાલુકા અને સિટી બંને પોલીસને સ્ટેશના પીઆઈ, કલોલ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બીજી તરફ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.