આઈપીએલની 13મી સિઝન ખતમ થયા પછી હવે આઈપીએલ-2021 પર ફોક્સ છે
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન (IPL 2020) થોડા સમય પહેલા જ યૂએઈમાં પુરી થઈ છે. આ વખતે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આઈપીએલની 13મી સિઝન ખતમ થયા પછી હવે આઈપીએલ-2021 પર ફોક્સ છે. બીસીસીઆઈ અને આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ લીગમાં નવી ટીમ સામેલ કરવા પર વિચારી રહી છે. આ સિવાય આઈપીએલ-2021માં મેગા હરાજી અને કેટલાક ફેરફાર પણ જોવા મળી શકે છે.
ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે આઈપીએલની કેટલીક ફ્રેન્ચાઇઝી પ્લેઇંગ ઇલેવનમાં 4 ના બદલે 5 વિદેશી ખેલાડીઓના પક્ષમાં છે. આઈપીએલની 13મી સિઝનમાં પ્લેઇંગ ઇલેવનમાં 4 વિદેશી ખેલાડીઓ રાખવાનો નિયમ હતો. બીસીસીઆઈએ એ વાતની પૃષ્ટી કરી છે કે કેટલીક ફ્રેન્ચાઇઝીએ અનૌપચારિક રૂપથી આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલને વિનંતી કરી છે કે પ્લેઇંગ ઇલેવનમાં 5 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે કેટલીક ફ્રેન્ચાઇઝી છેલ્લી કેટલીક સિઝનથી વિનંતી કરી રહી છે કે પ્લેઇંગ ઇલેવનમાં વિદેશીઓની સંખ્યા વધારવામાં આવે. જોકે આ મુદ્દે બીસીસીઆઈએ વિચાર કરવાનો બાકી છે. અધિકારીએ કહ્યું કે જો લીગનો વિસ્તાર કરવાનો છે તો સ્પષ્ટ છે કે કેટલાક નિયમોમાં ફેરફાર થશે. જોકે હાલ તેના વિશે કહેવું વહેલું ગણાશે.
રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલની આગામી સિઝનમાં 9-10 ટીમો હોઇ શકે છે. આ પહેલા આઈપીએલની દરેક સિઝનમાં 8 ટીમો રહી છે. આવામાં ફોર્મેટમાં ફેરફાર થઈ શકે છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ આઈપીએલમાં રોબિન રાઉન્ડ હટાવી શકે છે અને તેના સ્થાને ટીમોને ગ્રૂપોમાં વહેંચી શકે છે.
આઈપીએલ બીગ બેશ લીગની જેમ પાવર પ્લે ના નિયમમાં એક નાનો ફેરફાર કરી શકે છે. બીબીએલ આગામી સંસ્કરણમાં ‘પાવર સર્જ’નિયમની શરૂઆત કરી રહી છે. પાવર સર્જ બે ઓવરોનો પાવર પ્લે રહેશે. જેમાં બેટિંગ કરનારી ટીમ ઇનિંગ્સમી અંતિમ-10 ઓવરો દરમિયાન ગમે તે સમયે લઈ શકશે. આ દરમિયાન 30 ગજના સર્કલની બહાર ફક્ત બે ફિલ્ડરોને રાખવાની મંજૂરી રહેશે. પાવર સર્જ અપનાવતા પ્રત્યેક ઇનિંગ્સની શરૂઆતમાં રહેતા છ ઓવરના પાવર પ્લેને ઘટાડીને ચાર ઓવરનો કરી દેવામાં આવશે. આઈપીએલ પણ આ નિયમ લાવી શકે છે.