world theatre day
સિટી રિપોર્ટર . સુરત
અંગ્રેજો પોતાના મનોરંજન માટે અંગ્રેજી નાટકો ભજવતાં ત્યારબાદ તેની અસર હેઠળ સુરતમાં વિલિયમ શેક્સપિયરની વાર્તા ‘ટેમિંગ ઓફ ધી શ્રીયુ’નો ગુજરાતી અનુવાદ ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ નાટક 5 નવેમ્બર 1861ના રોજ ચોકબજારમાં આવેલાં નગીનચંદ હોલમાં ભજવાયું હતું. સુરતમાં ભજવાયેલુ સૌપ્રથમ ગુજરાતી નાટક હતું. સાહિત્યકાર સંજય ચોક્સીએ આ નાટક વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. આ નાટકના બધા જ કલાકારો પારસી હતાં. જેમાં શેઠ દીનશાહ અરદેશર તાલ્યારખાન, હોરમસજી બાપુજી, વિકાજી પેસ્તનજી, બેજનજી કોટવાળ, મનચેરજી બેજનજી કોટવાળ, પાલનજી બેજનજી કોટવાળ, દીનશાહ સોરાબજી નરીમાન, અરદેશર રૂસ્તમજી નરીમાન, દાદાભાઈ પેસ્તનશા કામા, બરજોરજી માણેકજી મોદી, માણેકશાહ કાવસશાહ તાલ્યારખાન, પાલણજી જીવણજી પીઠાવાળા, બહેરામજી ભીખાજી અને જમશેદજી ડોસાભાઈ ફરવાળા સામેલ હતાં.
સુરતમાં ભજવાયેલાં આ સૌપ્રથમ ગુજરાતી નાટકની વાર્તા કંઈક એવી છે કેે, ‘પાડુઆ નગરમાં બેપ્ટિસ્ટા નામનાં એક અતિ ધનાઢ્ય વેપારીની કેથરીના અને બિયાન્કા નામની બે ખૂબસૂરત દીકરીઓ, મોટી કેથરીના માથા ફરેલી અને અતિ ઉગ્ર સ્વભાવની, જ્યારે નાની સ્વભાવે નમ્ર અને મધુર હતી. ઉંમર લાયક થતાં બેપ્ટિસ્ટાએ દીકરીઓને પરણાવવાનું વિચાર્યું. બિયાન્કાને તો યોગ્ય પાત્ર મળી રહેશે પરંતું તેમને ચિંતા હતી કેથરીનાની. એવામાં બીજા શહેરમાંથી પેટ્રુશિયા નામનો જાંબાઝ નવયુવાન પાડુઆ નગરમાં જીવનસંગીનીની શોધમાં આવે છે અને તેને ખૂબસૂરત કેથરીનાની માહિતી મળે છે. તે બેપ્ટિસ્ટાને મળીને કેથરીનાનો હાથ માંગે છે. પિતા પેટ્રુશિયાને ઘણો જ સમજાવે છે અને વિનંતિ કરે છે કે આ મારી પુત્રી તમારા માટે સર્જાઈ નથી. તે માનતો નથી અને કેથરીના સાથે મુલાકાત કરે છે. તેણી તેના સ્વભાવગત પેટ્રુશિયા સાથે વાદ-વિવાદ કરીને તેને અપમાનિત કરે છે છતાં તે એની સાથે ખૂબ જ લાગણીભર્યો વ્યવહાર કરે છે. બીજા અઠવાડિએ આવતા પેટ્રુશિયાએ ‘રવિવારે લગ્ન કરીશ’ એમ પણ કહી દીધું. બેપ્ટિસ્ટા ત્યાં આવે છે. ‘આ તમારી દીકરીને પ્રેમ કરવાની વિશિષ્ટ શૈલી છે અને હવે તો શરમાય પણ છે’ એમ કહી પેટ્રુશિયા કેથરીનાનો હાથ પકડી ચુંબન ભરે છે. અચાનક જ થયેલી આ ચેષ્ટાથી તેના હૃદયોમાં કંપનો સર્જાયા અને કશું પણ બોલે એ પહેલાં પેટ્રુશિયા ત્યાંથી નીકળી જાય છે. એક અઠવાડિયા સુધી કેથરીના વિચિત્ર અનુભવોમાંથી પસાર થાય છે અને પછીના રવિવારે પેટ્રેશિયા સાથે તેના લગ્ન થઈ જાય છે. તે છતાં પણ તેના સ્વભાવમાં જરાપણ પરિવર્તન નથી આવતું. ત્યારબાદ જુદા-જુદા પ્રસંગો પછી કેથરીનામાં કેવી રીતે જીવનમાં આગળ વધે છે તેનું સુંદર વર્ણન છે આ વાર્તા.
_photocaption_ચોકબજારના નગીનચંદ હોલની બનાવટ રાજા-મહારાજાના જમાનાની હોઈ હોલમાં બાલ્કની રખાઈ હતી. જેમાં મુખ્ય મહેમાનો બેસીને નાટક માણતા હતા. *photocaption*
આ હોલમાં રજૂ થયું હતું નઠારી ફિરંગણ ઠેકાણે આવી