વડોદરા: કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે મુસ્લિમ બિરાદરોએ શુક્રવારની જુમ્માની નમાઝ મસ્જીદોમાં પઢવાને બદલે ઘરમાં જ પઢી હતી. નમાઝી નૂરહન્નાઝ સૈયદ અને તેમના પરિવારે જણાવ્યું કે, અલ્લાહ પાસે જીવલેણ કોરોના વાઈરસ ફેલાતો બંધ થઇ જાય અને કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકો જલદી સ્વસ્થ થઇ જાય તેવી અમ દુઆ કરી છે.
મહામારીમાં અલ્લાહ ઘરમાં થયેલી નમાઝ કબુલ રાખે છે
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નૂરહન્નાઝે સૈયદે વધુમાં જણાવ્યું હતું કે, શુક્રવારની જુમ્માની નમાઝ દરેક મુસ્લિમ અચૂક મસ્જીદમાં જ પઢે છે. એક સપ્તાહ દરમિયાન મસ્જીદમાં જઇને નમાઝ પઢવાનો કોઇને સમય ન મળે તો તે માત્ર શુક્રવારની જુમ્માની નમાઝ મસ્જીદમાં જઇને પઢવાથી નમાઝીની એક સપ્તાહમાં ગમે તે જગ્યાએ પઢેલી નમાઝ અલ્લાહ કબુલ કરે છે. પયગંબર સાહેબે પણ કહ્યું છે કે, જ્યારે મહામારી ફાટી નીકળે ત્યારે કોઇ પણ મુસ્લિમ પોતાના ઘરમાં નમાઝ અદા કરે અથવા તેઓને જ્યાં જગ્યા મળે ત્યાં નમાઝ અદા કરે તો અલ્લાહ પણ નમાઝીની નમાઝ કબુલ રાખે છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇ જાય તેવી દુઆ કરી
અમનભાઇ પઠાણે જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. કોરોના વાઈરસની ચેઇનને અટકાવવી જરૂરી છે, ત્યારે મસ્જીદોમાં લોકો કોરોના વાઈરસના કારણે એકઠા થઇને નમાઝ ન પઢે તે માટે મસ્જીદો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને શુક્રવારની જુમ્માની નમાઝ સહિત દિવસની તમામ નમાઝ મસ્જીદમાં પઢવાને બદલે ઘરમાં જ પઢવાની હોવાથી આજે અમો પરિવારજનોએ ઘરમાં જ જુમ્માની નમાઝ પઢી હતી. અને અલ્લાહને એકજ દુઆ કરી છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇ જાય. અને કોરોના વાઈરસ ફેલાતો અટકી જાય.
વર્ષો બાદ વડોદરામાં મસ્જીદોમાં જુમ્માની નમઝા અદા થઇ ન શકી
ઉલ્લેખનિય છે કે, વર્ષો બાદ વડોદરામાં કોરોના વાઈરસના કારણે મસ્જીદોમાં શુક્રવારની જુમ્માની નમાઝ અદા થઇ શકી ન હતી. મુસ્લિમ બિરાદરોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરમાં જ જુમ્માની નમાઝ સહિત દિવસની તમામ નમાઝ પરિવાર સાથે પોતાના ઘરમાં પઢી હતી. અને અલ્લાહને કોરોના વાઇરસની બિમારી દૂધ થાય તેમજ કોરોનાગ્રસ્ત લોકો જલદી સ્વસ્થ થઇ જાય તેવી દુઆ કરી હતી.