કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા મંગળવારે ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં. અહીં ગત જૂનમાં જમીનના ઝઘડામાં 10 આદિવાસીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. દરમિયાન, ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ પ્રિયંકાની મુલાકાતને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. સોનભદ્રના ઉમ્ભા ગામે પહોંચતાં જ પ્રિયંકા ગામની મહિલાઓ સાથે હળીમળી ગયાં. તેમના ખબરઅંતર પૂછ્યા, બાળકો સાથે પણ વાતો કરી. તેઓ ગત મુલાકાતમાં બીએચયુના ટ્રોમા સેન્ટરમાં મળેલી ગામની મહિલાઓને પણ ઓળખી ગયા અને તેમના ઇજાગ્રસ્ત સ્વજનોના ખબરઅંતર પૂછ્યા. ગામથી દૂર ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી.