મહેસાણા – પાલનપુર-બહુચરાજી: કોરોનાની ભયાવહ મહામારી વચ્ચે બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો, પરંતુ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે અંબાજી તથા બહુચર માતાજીના દર્શન ચૈત્રી નવરાત્રી દરમ્યાન ન થઈ શક્યા.પરંપરાગત રીતે મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ દ્વારા મા અંબાના મંદિરમાં સ્થાપના વિધિ કરવામાં આવી હતી. યાત્રાધામ અંબાજી 14 એપ્રિલ સુધી સદંતર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે.બુધવારે અંબાજી મંદિરમાં કરાયેલા ઘટસ્થાપના વિધિમાં ન જોડાતા શ્રધ્ધાળુઓ ચૈત્રી નવરાત્રી ઘટસ્થાપનાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા યુ-ટ્યુબ અને ફેસબુક ઉપર કરાયેલી વીધીનું જીવંત પ્રસારણ બતાવાયું હતું.
જગત જનનીને પ્રાર્થના કરાઇ હતી કે, હે માં આ જગતને કોરોનાની બીમારીથી બચાવજે
બીજી તરફ યાત્રાધામ બહુચરાજીમાં શુભ મુહૂર્તમાં પુજારીના હસ્તે બહુચર માતાજીના સાનિધ્યમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ સાથે ઘટસ્થાપન વિધિ કરાઇ હતી, તો બહુચર માતાજીના ૫૨૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર સ્થિત ટોડા મંદિરમાં પણ ઘટ સ્થાપના વિધિ કરાઇ હતી. સામાન્ય દિવસોમાં આ બંને યાત્રાધામોમાં પ્રથમ નોરતાના દિવસે દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, પરંતુ આજે કોરોનાની મહામારીને કારણે મંદિરના દર્શન બંધ હોઇ બજારો ખાલીખમ જોવા મળ્યા હતા. હાલમાં વિશ્વમાં પ્રસરેલી કોરાની મહામારીને લઈ જગત જનનીને પ્રાર્થના કરાઇ હતી કે, હે માં આ જગતને કોરોનાની બીમારીથી બચાવજે, આ સાથે માનવતાના ઉપાસકો ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી સહિત જે કોરોના સામે લડાઈમાં જોડાયા છે તે સૌનું રક્ષણ કરજે.