ઈન્દોર: મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લામાં અંજનવાડાના બાળકો પાસે સ્કૂલ પહોંચવા માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં તેઓ નર્મદા નદીમાં હોડીની મદદથી 15 કિલોમીટરનો સફર કરીને ત્યાંથી 25 કિલોમીટર દૂર પહાડના રસ્તે મઠવાડ પહોંચે અને બીજો વિકલ્પ એ છે કે, અંજનવાડાથી પહાડના રસ્તે થઈને 35 કિલોમીટરનું અંતર કાપે. આ બંને વિકલ્પનો રસ્તો ઘણો કપરો છે, આથી બાળકોને સ્કૂલે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એટલે આદિવાસી સમુદાયે નવો રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે.
આ ગામના આદિવાસી ભેગા મળીને પહાડ તોડીને રસ્તો બનાવી રહ્યા છે, જેથી અંજનવાડાને સ્કૂલ સાથે જોડી શકાય. ગામજનો વારા-ફરતી રોજ પહાડને તોડવામાં પરસેવો પાડી રહ્યા છે. બાળકો પણ આ કામમાં જોડાઈ ગયા છે. અંજનવાડાના રહેવાસી અને ઇન્દોરમાં અભ્યાસ કરી રહેલા કિશોર પડિયારે કહ્યું કે, મારા મિત્રો અને પરિવાર રોજ સવારે પર્વતમાંથી રસ્તો બનાવવા માટે ઉપડી પડે છે. આ કામ માટે અમે એક સમિતિ બનાવી છે. અમને સરકારની મદદ મળી નથી, આથી અમે જાતે જ પગદંડી બનાવી રહ્યા છે.
ઈન્દોરમાં બીએસસી કરી રહેલા શંકરે જણાવ્યું કે, પહાડની નીચે અમારા ખેતર હતા, પણ ગુજરાતમાં જ્યારે બંધ બંધાયો તો નર્મદાના પાણીથી તે ડૂબી ગયા. જ્યારે ગામમાં કોઈ બીમાર પડે છે ત્યારે તેને ઉપાડીને હોસ્પિટલ લઈ જવું ઘણું કપરું છે. નવો રસ્તો બની ગયા બાદ આ સમસ્યા પૂરી થઈ જશે.