કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી નહીં ખોલવામાં આવતા સર્જાયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું છે. 12 સંસ્થાએ શુક્રવારે ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી છે.
દરમિયાન કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ કહ્યું, મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંજૂરી આપતું નથી. વધુમાં મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળી ચૌદશે હવન માટે આર્મીની મંજૂરી માગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય. સુધીર નાણાવટી પાસે કેસનો વધુ ભરાવો હોવાથી ટ્રસ્ટની મિટિંગ માટે સમય આપી શકતા નથી માટે રાજીનામું આપ્યું છે. જ્યારે પૂજારી કમ ટ્રસ્ટી અતુલ શર્માએ કહ્યું કોવિડની શરતોનું પાલન કરી મંદિર ખોલવા આર્મીએ મંજૂરી આપી છે. નાણાવટીએ અંગત કારણોથી રાજીનામું આપ્યું છે.
વિવાદોથી કંટાળીને રાજીનામું આપ્યું છે
કેમ્પ હનુમાન મંદિરના તત્કાલિન ટ્રસ્ટી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, થિયેટરો ખૂલી ગયાં છે. મંદિર ખોલવામાં કોઇ વાંધો ન હોવો જોઇએ. હું મંદિરમાં 17 વર્ષથી ટ્રસ્ટી હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી મંદિરમાં વારંવાર વિવાદો થાય છે. ત્રણ કલાક મિટિંગ ચાલ્યા પછી પણ વિવાદો શાંત થતા નથી. વિવાદોથી કંટાળીને મેં રાજીનામું આપ્યું છે.