મોટી રાહત! ભારતમાં કોવિડ-19ને 72 લાખ દર્દીઓએ મ્હાત આપી, એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.
Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,44,20,894 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,58,116 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, 26 ઑક્ટોબરે કોરોના વાયરસના 908 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 4 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 168081 એ પહોંચી ગયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 228, અમદાવાદમાં 173, વડોદરામાં 111, રાજકોટમાં 70, જામનગરમાં 17, મહેસાણામાં 27, કચ્છમાં 14, પંચમહાલમાં 8, અમરેલીમાં 17, બનાસકાંઠા 11, સાબરકાંઠામાં 10 , મોરબીમાં 23, સુરેન્દ્રનગરમાં 22 કેસ નોંધાયા છે.
બીજી તરફ, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 18, પાટણમાં 17, ગીરસોમનાથમાં 11, નર્મદામાં 9, ભાવનગરમાં 10, દાહોદમાં 6, આણંદ 13, બોટાદ 1, ખેડામાં 11, દેવભૂમિ દ્વારકામાં 7, છોટાઉદેપુર 4, મહીસાગરમાં 3, નવસારીમાં 2, અરવલ્લી 4, તાપીમાં 4, વલસાડમાં 1, ડાંગમાં 0 મળીને કુલ 908 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 13,738 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 13,677 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,50,650 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3,693 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
આ દરમિયાન અમદાવાદમાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1 મળી કુલ 4 દર્દીના નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 173 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.