ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું.
ટ્વીટ કરીને જાહેરાત કરી
પાર્થિવે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યુ કે, હું આજે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. BCCIએ 17 વર્ષના યુવા ખેલાડી પર ભરોસો દાખવતા હું ડેબ્યુ કરી શક્યો હતો. તેમના સપોર્ટ બદલ હું બોર્ડનો આભાર માનું છું. હું જે બધા કપ્તાનો હેઠળ રમ્યો તેમનો પણ આભાર માનું છું, ખાસ કરીને મારા પહેલા કેપ્ટન – દાદા- સૌરવ ગાંગુલી. હું તમામ કોચ અને ફિઝિયોનો પણ આભાર માનું છું, જેમણે મને ફિટનેસ જાળવવામાં મદદ કરી. હું મારી હોમ ટીમ અને ગુજરાત સ્ટેટ એસોશિયેસનનો આભાર માનું છું. તેમણે મને તમામ ફોર્મેટમાં કપ્તાની સોંપી અને અમે બધા ટાઇટલ જીતી શક્યા, એ હંમેશા મને સારી રીતે યાદ રહેશે. હું કેટલો નસીબદાર છું, કારણકે મારા માટે આ ગુડબાય કહેવું અઘરું પડી રહ્યું છે.
2002માં ડેબ્યુ કર્યું હતું
ભારતે 2002માં 17 વર્ષ અને 153 દિવસની વયે ડેબ્યુ કર્યું હતું. તે સમયે પટેલ ટેસ્ટમાં રમનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીના લીધે પાર્થિવે ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું.
રણજી ટ્રોફી રમ્યા પહેલા ટીમ ઇન્ડિયા માટે રમવાનું શરૂ કર્યું હતું
પાર્થિવે પોતાની ડેબ્યુ મેચ વિશે જુના ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મને મારી પહેલી ડોમેસ્ટિક મેચ આજે પણ યાદ છે. અમે દિલ્હી સામે રમી રહ્યા હતા. તેમની ટીમમાં આશિષ નહેરા, આકાશ ચોપરા, અજય જાડેજા, મિથુન મનહાસ જેવા સ્ટાર ખેલાડીઓ હતા. 156 રન ચેઝ કરતા દિલ્હીએ 102 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અમે એ મેચ લગભગ જીતી જ ગયા હતા.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…