Home Gujarati નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ...

નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે

159
0

નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે.

ગુજરાત સરકારે ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આવામાં સૌથી કફોડી હાલત વેપારીઓની થઈ છે. કારણ કે, તેમની આખા વર્ષની આવક નવરાત્રિ પર નિર્ભર હોય છે. અમદાવાદમાં લો ગાર્ડન અને રાણીનો હજીરો નવરાત્રિ (navratri) ની ખરીદીનું મોટુ માર્કેટ છે. ત્યારે આવામા આ વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસ્યા છે. જ્યાં નવરાત્રિમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યાં હવે કોરોનાને કારણે કોઈ પગ મૂકવા તૈયાર નથી.

નવરાત્રિની ખરીદી માટે જાણીતા લોગાર્ડન માર્કેટ પર મંદીના વાદળ છવાયા છે. લો ગાર્ડનની લેનમાં વેપારીઓ સાવ નવરાધૂપ બેસી રહ્યાં છે. કોરોનાને કારણે ધંધો ભાંગી પડ્યો છે. નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. માર્કેટમાં 90 થી 80 ટકા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે.

વેપારીઓનું કહેવુ છે કે, અમે ઉછીના રૂપિયા લાવી માલ ભર્યો છે. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે. સરકારને માત્ર એટલી વિનંતી છે કે, નવરાત્રિને મંજૂરી આપે અથવા તો અમને આર્થિક સહાય આપે. જેથી અમારા ઘરનું ગુજરાન ચાલે. ચોમાસું અને કોરોનાના કારણે ધંધો પડી ભાંગ્યો છે.

કોરોનાની અસર બધા બજારો પર જોવા મળી છે. જેમાં અમદાવાદનું રાણીના હજીરાનું માર્કેટ પણ બાકાત નથી. નવરાત્રિ માટે ખૂબ જાણીતા માર્કેટ રાણીના હજીરામાં બિલકુલ ખરીદી કરવા કોઈ ગ્રાહક આવી નથી રહ્યાં. વેપારીઓને 75 ટકા વેપારમાં મદી જોવા મળી રહી છે. જોકે, હજીરાના વેપારીઓ સરકારે કરેલ નવરાત્રિ પરના પ્રતિબંધના નિર્ણયને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સરકારનો કોરોનાને લઈ નિર્ણય તે યોગ્ય છે.

જોકે બીજી તરફ રાણીના હજીરાના વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે, હાલ ઘરનો ખર્ચની સાથે દુકાનનો ખર્ચ નીકળવામાં તકલીફ પડી રહી છે.

અમદાવાદનુ લો ગાર્ડન અને રાણીના હજીરાનું માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહી લોકો અમદાવાદ અને બહારથી પણ ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં દરમિયાન અહી દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે સાવ સૂનકાર વ્યાપી રહ્યો છે.