- નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી
- આ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે
- દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે
અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને તહેવારોના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આજે જાહેર થયેલી યોજના હેઠળ કેન્દ્રના 1 કરોડથી વધુ કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) માટે કેશ વાઉચર આપવામાં આવશે. આ સિવાય ફેસ્ટિવલ એડવાન્સ યોજના હેઠળ કર્મચારીઓને રૂ. 10,000 સુધીની રકમ પણ મળશે.
આ અંતર્ગત સરકારી કર્મચારીને એક કેશ વાઉચર મળશે, જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને એનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે. LTCના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે એ 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડું ચૂકવવામાં આવશે અને એ કરમુક્ત રહેશે. આ માટે કર્મચારીનું ભાડું અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. એવી જ રીતે માલ અથવા સેવાઓ GSTમાં નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલી કરાવી પડશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે.
નાણામંત્રીએ માહિતી આપી હતી કે આ વર્ષે ફક્ત એકવાર ફરીથી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ પ્રકારના કર્મચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે, જે તેઓ 10 હપતામાં જમા કરાવી શકે છે. એ 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. એને પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે.