અક્ષરધામ મંદિર 30મી સુધી બંધ રાખવાનો નિર્ણય તો અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર આજથી ખુલશે.
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ
કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ સરકારે જે સાવચેતીના પગલા લીધા છે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર તારીખ 24મી નવેમ્બરથી તા. 30 નવેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા મંદિરને 23મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રહેશે. 30મી નવેમ્બરના રોજ જે તે સ્થિતિની સમિક્ષા કરીને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોરોના બાદ અમદાવાદના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આઠ મહિના બાદ આજે મંદિર ખુલવા જઈ રહ્યું છે. દરરોજ સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ભક્તો અહીં દર્શનનો લાભ લઈ શકશે. આજે મંદિર ખુલવાનું હોવાની વાત જાણીને ભક્તો વહેલી સવારથી જ અહીં આવી પહોંચ્યાં હતા. મંદિર ખુલવાના સમાચારની ખુશી ભક્તોના મોઢા પર જોવા મળી હતી. જોકે, વહેલી સવારે મંદિર ન ખુલતા અનેક ભક્તોએ મંદિર પરિસરમાં માથું ટેકવીને બહારથી જ દર્શન કર્યાં હતાં.રાજ્યમાં રવિવારે 1,495 લોકો સંક્રમિત થયા
રવિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 1,97,412એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13 લોકોનાં કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,859 થયો છે.
રવિવારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,495 કેસ નોંધાયા છે. જ્યારે 1,167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,79,953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16 થયો છે. આ જ રીતે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. રવિવારે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.