- બપોરે 12થી બુકિંગ થવાનું હતું પણ સાંજે 7 સુધી ટેક્નિકલ ખામી
- વડાપ્રધાન મોદી આજે કેવડિયાથી સી-પ્લેનમાં રિવરફ્રન્ટ આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેવડિયા ખાતે દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવશે.સી-પ્લેન અમદાવાદ પહોંચ્યા બાદ એજ દિવસથી કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવાની ઓપરેટર એરલાઈન્સ સ્પાઈસ જેટે જાહેરાત કરી હતી અને બુકિંગ 30 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી શરૂ થવાનું હતું. પરંતુ સવારથી સાંજ સુધી સી-પ્લેનનું બુકિંગ કરતી વેબસાઈટ સ્પાઈસ શટલ શરૂ થઈ ન હતી. જેના કારણે 31મીએ સી પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ નહીં થઈ શકે.
ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટ 31 ઓક્ટોબરથી સી-ંપ્લેનનું સંચાલન કરશે. આ ફ્લાઈટનું બુકિંગ શુક્રવારે બપોરથી શરૂ કરવા માટે અનેક ટૂર ઓપરેટરોની સાથે શહેરીજનોએ રસ દાખવ્યો હતો. બપોરે 12 વાગ્યાથી જ વેબસાઈટમાં ટેકનિકલ ખામી હોવાથી એક કલાક બાદ ઓપન થશે તેઓ મેસેજ આવતો હતો. જો કે સાંજે 7 વાગ્યા પછી વેબસાઈટ ઓપન થઈ હતી. પરંતુ તેમાં હજુ પણ બુકિંગ શરૂ થયું ન હતું અને ઓફલાઈન મેસેજ આવતો હતો. જેમાં એરલાઈન્સ દ્વારા બુકિંગ કરનારનું નામ, મોબાઈલ નંબર અને મેઈલ આઈડી માગવામાં આવતા હતા. ત્યારબાદ તેમના મોબાઈલ પર મેસેજ આવતા હતા કે બુકિંગ માટે હવે તમારો સંપર્ક કરાશે. એજ રીતે વોટર એરોડ્રોમ ખાતે તૈયાર કરાયેલી બિલ્ડિંગમાં પણ ટિકિટ કાઉન્ટર શરૂ થવાનું હતું પરંતુ ત્યાં પણ હજુ બુકિંગ શરૂ થયું નથી.
વોટર એરોડ્રામ ખાતે બુકિંગ થશે
વોટર એરોડ્રામ ખાતે સી-પ્લેનમાં ટિકિટ બુકિંગ માટે એરલાઈન્સ દ્વારા કાઉન્ટર શરૂ કરવામાં આવનાર છે. પરંતુ હાલમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને પગલે કાઉન્ટર શરૂ કરાયું નથી. વડાપ્રધાનનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવશે. વધુમાં હાલ ઓનલાઈન બુકિંગ માટે સ્પાઈસ શટલ વેબસાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે દિવસ દરમિયાન બુકિંગ થઈ શક્યું નથી. જેના કારણે સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન એકાદ દિવસ બાદ શરૂ થવાની શક્યતા છે. તેમ એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું.