નવી દિલ્હી | રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 73મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીર, ત્રણ તલાક પર રોકનો કાયદો અને આરટીઆઇ કાયદામાં સુધારા સહિત તમામ મુખ્ય મુદ્દા પર વાત કરી. રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરના લોકોને ખાતરી આપી કે વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી લોકોને ફાયદો થશે. તેનાથી કેન્દ્ર સરકારની દરેક યોજનાનો રાજ્યના લોકોને લાભ મળશે. રાષ્ટ્રપતિએ નેતાઓને લોકશાહીને મજબૂત બનાવવા માટે સંસદ અને વિધાનસભાઓમાં આદર્શ વર્ક કલ્ચરનું ઉદાહરણ બનાવવા અપીલ કરીને કહ્યું કે ચૂંટાયેલા નેતાઓ મતદારોના વિશ્વાસ પર ખરા ઉતરે. કોવિંદે લોકોનું જીવન બહેતર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી આયુષ્યમાન, બધા માટે આવાસ, દરેક ઘરમાં વીજળી, શૌચાલય તથા પાણીની સુવિધા આપવાની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી.