અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમકોર્ટમાં મંગળવારે પાંચમા દિવસે સુનાવણી થઇ. પાંચ જજની બંધારણ બેન્ચે રામલલ્લા વિરાજમાનના વકીલને પૂછ્યું કે વિવાદિત સ્થળે ભગવાન રામના જન્મનું મૂળ સ્થળ કયું છે? વકીલે કહ્યું કે અલ્હાબાદ હાઇકોર્ટે ધ્વસ્ત કરાયેલી મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચેવાળી જગ્યાને ભગવાન રામનું જન્મસ્થળ માન્યું હતું.
હિન્દુ પક્ષે કહ્યું કે મુસ્લિમો માટે મક્કા-મદીનાનું જે મહત્વ છે તેવું જ હિન્દુઓ માટે અયોધ્યાનું છે. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને રામલલ્લા વિરાજમાનના વકીલની દલીલો સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ લોકો હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના ચુકાદા અને રિપોર્ટ જ દર્શાવી રહ્યા છે, કોઇ પુરાવા રજૂ નથી કરતા.
આ તબક્કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ધવનને ઠપકો આપતાં કહ્યું તમે તમારો વારો આવે ત્યારે જ દલીલો રજૂ કરો. અમે ઉતાવળે સુનાવણી નથી કરી રહ્યા. બધાને પૂરો સમય મળશે. સુનાવણી બુધવારે પણ જારી રહેશે.