શ્રીનગર, રાજભવનથી હેમંત અત્રી/ઉપમિતા વાજપેયી
ડાલ લેકના કિનારે રાજા હરિસિંહના મહેલમાં બનેલા ગવર્નર હાઉસમાં રાજ્યપાલ સત્યપાલ મલિકને મળવા માત્ર એપોઈન્ટમેન્ટ લઈને પહોંચનારા જ નથી હોતા બલ્કે કશું જણાવ્યા વિના મદદ માંગનારા પહોંચી જાય છે. મલિક કહે છે કે હાલમાં મળવાવાળા ઓછા છે તો કામ ઓછું છે. જ્યારે તેઓ કાશ્મીરના રાજ્યપાલ નિમાયા ત્યારે 30 વર્ષ પછી કોઈ નેતા આ ખુરશી પર બેઠો હતો. લોકો તેમને ટ્વિટર અને વોટ્સએપ દ્વારા મદદ માંગે છે. તેઓ મદદ કરે પણ છે. હાલમાં રાજ્યમાં ઇન્ટરનેટ બંધ છે. અફવા અને આશંકા વચ્ચે મલિકનો પ્લાન તૈયાર છે. ખીણમાં હાલની સ્થિતિ વચ્ચે રાજ્યપાલે પ્રથમવારે કોઈ અખબાર સાથે વાતચીત કરી તેના મુખ્ય અંશ…
કાશ્મીરની હાલની સ્થિતિ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે સીધી વાત…
તમને પીપલ્સ ગવર્નર છો. ટ્વિટર પર મુશ્કેલી કહે છે, નેટ બંધ છે. સમસ્યા કેવી રીતે જણાવે?
હું તેમની મુશ્કેલી સમજીને સમાધાન મોકલું છું. શ્રીનગરમાં 1600 અને કાશ્મીરમાં 10 હજાર કર્મચારી 24 કલાક કામ કરી રહ્યાં છે. થોડા દિવસમાં પ્રતિબંધ હટી જશે. અમે 15 ઓગસ્ટ પછી તે ઘટાડીશું. ઇન્ટરનેટ તોફાનીઓ, દુશ્મનો અને પાકિસ્તાનીઓનું હથિયાર છે. આપણે તેમના હાથમાં આપણું ગળું કાપવાનું હથિયાર પકડાવી શકીએ નહીં.
તમને કલમ 370 હટાવવાની જાણકારી ક્યારે મળી?
હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી ચર્ચા હતી કે 370 હટશે. મેં અહીંના નેતાઓને પણ જણાવી દીધું હતું. આ કંઈ ગજવામાંથી કાઢેલો નિર્ણય નથી. તેને સંસદમાં લવાયો છે.
ચૂંટણી ક્યારે, યુટીની પ્રક્રિયા ક્યાં સુધીમાં?
ચૂંટણી હવે નવા સીમાંકનના આધારે પૂરી થશે. આ માટેના પંચની રચના ગમે ત્યારે થશે. તેનું કામ પૂરું થતાં છ મહિનાથી એક વર્ષનો સમય લાગશે. ત્યારપછી ચૂંટણી થશે. યુટીની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે.
વિદેશી મીડિયામાં ક્યાંક પથ્થરબાજી અને હિંસક દેખાવોની વાત છે? આ કેટલું સાચું?
ખોટું બતાવાય છે. ત્યાં ઉર્સ હતો અને બીજીબાજુથી નમાજની ભીડ આવી રહી હતી. વીડિયો એવી રીતે લેવાયો કે ભીડ દેખાય. પછી તોફાનીઓએ પથ્થરમારો શરૂ કર્યો પણ સુરક્ષાદળે કોઈને ગંભીર ઇજા થવા દીધી નહીં. 4 લોકોના પગમાં પેલેટના છરા વાગ્યા છે.
તમે કહ્યું હતું પાક. કંઈ કરશે તો અંદર ઘૂસી જવાબ આપીશું, શું કંઈ ઇનપુટ છે?
પાક. આર્મીના ટોચના અધિકારીના ચોપર સરહદી વિસ્તારમાં ફરે છે. પાક. ગભરાયેલું છે અથવા કંઈ કરવાની ફિરાકમાં છે. ફિદાયીન હુમલો કરાવી શકે. અમે ખતરનાક જવાબ આપવાની તૈયારીમાં છીએ.
સ્થાનિક નેતાઓની બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા, તપાસ ક્યાં પહોંચી ?
જેની તપાસ મારા હાથમાં હતી તેમની પૂછપરછ થઈ ચૂકી છે. બાકી જે મોટી માછલીઓ છે તેમની તપાસ શરૂ થઈ તો તમામ જેલમાં હશે.
શું મુકેશ અંબાણી સિવાય કોઈ બીજાએ કાશ્મીરમાં રોકાણ માટે સંપર્ક કર્યો છે?
દાલમિયાનો મેસેજ આવ્યો હતો. બીજા ઘણા સંપર્ક કરી રહ્યાં છે. (અનુસંધાન દેશ-વિદેશ પેજ પર)