સુરતઃ સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા દિલ્હીના નિઝામુદીન ખાતેના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા પૈકી દેશમાં કુલ 10 વ્યક્તિના મોત થયા છે અને 450થી વધુ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જાહેર થયું છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશમાં એક પ્રકારનો ભય ફેલાયો છે ત્યારે સુરત શહેરમાં પણ દિલ્હીના નિઝામુદીન ખાતેના તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપનારા લોકો આવ્યા હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું છે.દિલ્હી ગયેલા 76માંથી 72ના નામ સામે આવ્યાં છે જ્યારે ચારની શોધખોળ ચાલુછે.
સેન્ટ્રલ ઝોનમાંથી 33 ગયા હતા
દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ સુરતના 76 લોકોમાંથી 72ની પાલિકાએ ભાળ મેળવી લીધી છે. તમામને ક્વૉરન્ટીન કરાયા છે. સેન્ટ્રલ ઝોનમાંથી 33, વરાછા ઝોન-બી – 3, રાંદેર ઝોન – 6 , કતારગામ ઝોન , ઉધના અને અઠવાઝોનમાં 7 – 7 – 7 તેમજ લિંબાયત ઝોન 9 વ્યક્તિ ગયા હતાં. તમામને ક્વોરન્ટીન કરાયા છે.
તમામને શોધવા ટીમ બનાવાઈ છે-પાલિકા કમિશનર
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે આ તમામ 76 ને શોધી કાઢવા માટે ટીમ બનાવવામાં આવી જેમાંથી 72ની ભાળ મળી છે. સાથે જે નથી મળ્યા તે તમામને અને તેમના સંપર્કમાં આવેલાઓને જાતે 14 દિવસ ઘરમાં બંધ રહેવા અનુરોધ કરીએ છીએ. કોઈપણ વ્યક્તિએ નિઝામુદ્દીનના કાર્યક્રમમાં યોગદાન આપ્યું હોય તે તમામને વિનંતી કરાય કે, તેઓ પોતાના ઘરમાંથી બહાર ન નીકળો અને સુરત મનપાને જાણ કરો. તેમને જાણતા લોકો પણ શહેર હિતમાં જાણ કરે. કમિશનરે કહ્યું કે, આ લોકો ચિંતા ન કરે મનપાની ટીમ તેમની દેખરેખ રાખશે.
ભાભરવાસીઓ ચિંતિત
દીલ્હીના તબલીગી જમાતમાં ભાભરના 11 યુવાનો પરત આવેલ છે. ફરતા થયેલા મેસેજ અનુસાર, તેઓને હાલ તેમના ઘરમાં રાખેલ છે. જેને લઈને ભાભરના લોકોમાં ચિંતા થતો મેસેજ વાઈરલ થયો છે. જેમાં ભાભરની મેડિકલ અસુવિધાઓ ઉપરાંત 11 યુવાનો કોઈ ગફલત કરે તો ગામ આખાને કોરોના થાય તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
બોટાદના લોકો પર નજર રખાય છે-આઈજી
બોટાદના બે મહીલા સહિત ચાર દિલ્હીથી કાર્યક્રમ પૂર્ણ કરી તા.17 થી 28 હરિયાણા રોકાયા હતાં. ત્યાંથી તા. 29 પરત આવેલ હોય આ બાબતે રેન્જ આઇ. જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે તમામ બાબતો પર ઘ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.