દિલ્હી: દેશમાં પ્રથમવાર વોર મેમોરિયલ (યુદ્ધ સ્મારક)માં દેશ માટે શહીદ થયેલા પ્રાણીઓનું નામ લખાશે. આ સ્મારક ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલ રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર(RVC) કેન્દ્રમાં તૈયાર થશે. અહીં 300 શ્વાન અને તેમના 350 હેન્ડલર્સ, કેટલાક ઘોડા અને ખચ્ચરના નામ લખવામાં આવશે.
આ સ્મારક માટે જમીન અને ડિઝાઈન પહેલેથી જ નક્કી થઈ ગઈ છે. આ મેમોરિયલ તે પ્રાણીઓની યાદ અપાવશે, જેમણે કાશ્મીર અને અન્ય જગ્યાએ આતંકીઓ વિરુદ્ધના ઓપરેશન અને કારગિલ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે વોર મેમોરિયલમાં પશુનું નામ, તેનો સર્વિસ નંબર અને અન્ય માહિતી પણ હશે. આ સ્મારક દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ જેવું જ હશે. અહીં સેનાના પ્રાણીઓ માટે પ્રજનન, પાલન અને અન્ય પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.
આર્મી ડોગ યુનિટના અધિકારીઓ પ્રમાણે, કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં 25થી વધારે શ્વાન જીવ ગુમાવી ચૂક્યા છે. સેનામાં હાલ 1000 શ્વાન, 5000 ખચ્ચર અને 1500 ઘોડા કાર્યરત છે.
કાશ્મીર આતંકવાદ વિરોધી અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી માનસી((લેબ્રાડોર પ્રજાતિની માદા ડોગ)ને વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવી હતી. વોર મેમોરિયલમાં માનસીનું નામ ટોચ પર રહેશે અને તેની સાથે તેના હેન્ડલર બશીર અહમદને પણ જગ્યા મળી છે.
આર્મી ડોગને અલગ-અલગ રોલ જેમ કે બૉમ્બ શોધવા, ટ્રેકિંગ, સર્ચ એન્ડ રેસ્કયૂ અને પેટ્રોલિંગ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.