રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસોનો આંકડો ધીરે-ધીરે વધી રહ્યો છે.અમદાવાદમાં આજે 23 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ શહેરમાં કુલ 266 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજે અમદાવાદના ઘોડાસર વિસ્તારના કોરોનાગ્રસ્ત એક 75 વર્ષિય પુરુષનું એલ.જી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13એપ્રિલથીઅમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.
બફર ઝોનમાં 24 કલાકમાં 24 હજારને ચેક કર્યાં, 56 શંકાસ્પદને હોસ્પિટલમાં દાખલ કર્યાં
શહેરની હાલની સ્થિતિ અંગે વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,અમદાવાદમાં 240 કેસ ગઈકાલ સાંજ સુધી હતા બાદમાં 23 કેસો નોંધાયા છે.અમદાવાદમાં કુલ 263 કેસો નોંધાયા છે.અમદાવાદમાં 11 મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં 5379 લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે સામેથી આવનારા 1059ના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 628 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યાં બાદ દરરોજ થર્મલ ગનથી 24 કલાકમાં 24000 લોકોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 56 શંકાસ્પદ સામે આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કેસો સામેથી શોધતા હવે વધી રહ્યાં છે. સર્વેલન્સથી કેસો સામે આવતા બીજાને ચેપ લાગતા અટકાવવાની રણનીતિ કામ કરી રહી છે. ઘરે હેલ્થ ટીમ આવે તો તપાસ અને સેમ્પલ માટે સહકાર આપો.
તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત
અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. 13એપ્રિલની સવારે 6 વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. 13એપ્રિલથી AMCની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે. લોકોને અપીલ છે કે અમારે દંડ કરવો પડે તેવું કરવું નહી અને માસ્ક પહેરવું ફરજીયાત છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં નોંધાયેલા આજના તમામ 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે.