વડોદરાઃ 10 માર્ચે સ્પેનથી આવેલા 49 વર્ષના દર્દીને 17 માર્ચે શંકાસ્પદ કોરોના વાઈરસને પગલે વડોદરાનીસયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, જોકે હવે તેઓકોરોના વાઈરસથી મુક્ત થતાં આજે તેમને રજા આપવામાં આવી હતી. કોરોના વાઈરસથી મુક્ત થયેલા દર્દીએ જણાવ્યું હતું કે, ડોક્ટરોએ દિવસ-રાત મહેનત કરીને મને ઉભો કર્યો છે. સરકાર અને તમારો હું આભાર માનુ છું. હું વિદેશમાં હોત તો પણ આવી સારી સારવાર મને ન મળી હોત. વિદેશ કરતા પણ સારી સારવાર મને મળી છે. મને તો ખબર જ નહોતી કે, આપણે ત્યાં આવા હોશિયાર ડોક્ટર્સ છે. વિશ્વમાં આવી સારવાર ક્યાંય મળતી નથી. 25થી 30 ડોક્ટર્સ મારી સારવારમાં લાગી ગયા હતા.
શરૂઆતમાં ડર લાગતો હતો પણ હવે ડર લાગતો નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મને કોઇ મુશ્કેલી પડી નથી. જેટલા દિવસ હું હોસ્પિટલમાં હતો. દવા સહિતની તમામ સગવડો મને મળી હતી. પહેલા મને ખુબ ડર લાગતો હતો કે, મને કોરોના થઇ ગયો છે. પરંતુ હવે મને કોઇ પણ પ્રકારનો ડર લાગતો નથી.
કોરોના મુક્ત વ્યક્તિને કલેક્ટરે સ્વસ્થજીવનની શુભાકામનાઓ પાઠવી
વડોદરા જિલ્લા કલેક્ટરે રોગમુક્ત થયેલા વ્યક્તિ સાથે વાતચીત કરી હતી અને કલેક્ટરે તેઓને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સાજા થયેલા વ્યક્તિએ સયાજી હોસ્પિટલની ઉમદા સેવાઓ અને વહીવટી તંત્રના સહયોગને બિરદાવ્યો હતો.