કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો કોઈને કોઈ રીતે મદદ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને પણ બાળ રક્ષક ગણાવ્યા છે. મહામારી સામે લડવા રિલીફ ફંડ અને ગરીબોને મોટા મોટા ઉદ્યોગપતિ, સેલિબ્રિટી જ નહીં બાળકો પણ હવે મદદ કરી રહ્યા છે. અમદાવાદમાં રિલીફ રોડ પર રહેતા ત્રણ નાના બાળકોએ પોતાની પીગી બેંકમાં જમા કરેલા કુલ 5500 રૂપિયા ગરીબોની મદદ માટે જમા કરાવ્યા છે. પોલીસ બાળકોએ જમા કરાવેલા આ પૈસાથી ગરીબોની મદદ કરશે.
ત્રણ બાળકોએ ગરીબોને મદદ કરવા નક્કી કર્યુ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.કે. ગોહિલના લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવા માટેના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. પોલીસ 24 કલાક રોડ પર ફરજ બજાવે છે. ગરીબોને જમવાનું અને મદદ કરે છે. રિલીફ રોડ પર રહેતા મોઇનખાન મેમણ પરિવારના મોહંમદ ઝૈબ, મોઇન અને આમીના નામના ત્રણ બાળકોએ પણ ગરીબોને મદદ કરવાનું નક્કી કર્યું હતુ. ગરીબોને પોતાના પૈસાથી વસ્તુ લાવી મદદ કરવા માટે માતા-પિતાને કહ્યું હતું.
ગલ્લામાંના પૈસા પોલીસ અંકલને જ આપવા કહ્યું
મોઇનખાનના પરિવારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, PSIનો વીડિયો જોઈ અમારા બાળકોએ ગરીબોને મદદ કરવા કહ્યું હતું. બાળકોએ તેમના માતાપિતાને કહ્યું હતું કે ગલ્લામાં (પીગી બેન્ક)માં જે પૈસા પડ્યા છે તે પૈસા ગરીબોને આપી તેમને જમવાનું આપીશું. માતાપિતાએ આ પૈસાથી વસ્તુ લાવવાનું કહ્યું હતું પરંતુ બાળકોએ આ પોલીસવાળા અંકલને જ પૈસા આપવાનું કહેતા અમે તપાસ કરી હતી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યાં અમારા બાળકોએ આ પૈસા સાહેબને આપ્યા હતાં.
બાળકોએ કરેલી મદદ ગરીબો પાછળ વપરાશે
PSI પી.કે ગોહિલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો જોઈ બાળકો પોતાની બચતના પૈસા ગરીબોમાં મદદ માટે આપવા આવ્યા હતા. બાળકોએ કરેલી આ મંડળના પૈસા ગરીબો પાછળ વાપરવામાં આવશે. આવા બાળકો અને પરિવાર પર ગર્વ છે. દેશનો દરેક યુવાન અને બાળક આવા વિચારો રાખશે તો દેશને કોઈપણ મહામારી અને દેશ સામે ઝુકવું નહીં પડે.